Wednesday, April 29, 2020

મહેન્દ્રસિંહે કાકલૂદી કરી કે, બસ એક કલાકનો સમય આપો આજે મારી દીકરીનો જન્મ દિવસ છે પણ તેના ‘કર્મો’એ મંજૂરી ના આપી…


MIHIR BHTT

followme on Twitter @MihirBhatt99

ભાગ-૩

સુરત સ્થાયી થયા બાદ મહેન્દ્રસિંહનું ગુનાની દુનિયામાં એકચક્રી શાસન ચાલ્યું, અપહરણ, ખંડણી, હત્યા અને લમણે રિવોલ્વર મૂકીને લૂંટ જેવા અનેક ગુના તેણે આચર્યા. માત્ર સુરત જ નહીં, આસપાસના જિલ્લા અને છેક મુંબઇ સુધી તે ગુના આચરવા લાગ્યો હતો. જેનાથી સુરત અને આસપાસના વિસ્તારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

સુરતના ધનાઢ્ય એવા ઘોડદોડ રોડ પર એ સમયે મહેન્દ્ર શાહની રીચી-રીચ નામની ક્લબ ધમધમતી હતી. કહેવાય છે કે, અમદાવાદમાં ચાલતી કલગી ક્લબનુ નામ પણ અહીંથી જ આવ્યું હતું. જો કે, તે વાતને કોઇ ચોક્કસ સમર્થન નથી. મહેન્દ્રસિંહની એક ખુબી એ પણ હતી કે, તે જ્યાં જાય ત્યાં વર્ચસ્વ ધરાવતા લોકો જોડે સંબંધ બાંધી લેતો. સુરતમાં પણ તેણે મહેન્દ્ર શાહ સાથે મિત્રતા કરી લીધી હતી. મહેન્દ્ર શાહ પાક્કા વેપારી છતાં સંબંધ નિભાવાના હોય ત્યારે ક્યાંક ખોટ ખાઇ લેવી તે તેમનો સદગુણ હતો. કદાચ એટલે જ આવો ગુનેગાર મહિનાઓ સુધી તેમનો મિત્ર બની રહ્યો હશે. મહેન્દ્રસિંહ જાણતો હતો કે, રીચી-રીચ ક્લબમાં કરોડો રૂપિયાના દાવ લાગે છે.  એક દિવસ ક્લબ જુગારીઓથી ધમધમતી હતી. સાંજના સાતેક વાગ્યા હતા અને મહેન્દ્રસિંહ ક્લબમાં મશીનગન લઇને ઘૂસી ગયો અને મહેન્દ્ર શાહ પર ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં મહેન્દ્ર શાહ તો બચી ગયા પણ ક્લબમાં ભારે દોડધામ મચી ગઇ. મહેન્દ્રસિંહે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી અને ભાગી ગયો. આ ઘટના પછી પોલીસ કેસ થયો અને ક્લબ થોડા સમય માટે બંધ થઇ ગઇ. ક્લબ થોડા મહિના પછી ફરી શરૂ થઇ પણ આ વખતે મહેન્દ્ર શાહે બિહારથી ખડતલ બોડીગાર્ડ બોલાવી તહેનાત કરી દીધા હતા. નીચે રેસ્ટોરન્ટ અને ત્યાંથી જ સીડી ચડીને ઉપર જતા ક્લબ આવે. બોડીગાર્ડ નીચે રોડ પરથી માંડીને સીડી અને ક્લબના ઉપરના માળના દરવાજા સુધી ગોઠવી દેવાયા હતા. કાળા સફારી શૂટમાં ગોઠવાયેલા બોડી ગાર્ડેસે પણ મહેન્દ્રસિંહના ફાયરિંગની વાત સાંભળી હતી તેથી તેઓ પણ સતત સતર્ક રહેતા હતા. એક દિવસ રાતે ૧૦ વાગ્યે ક્લબ ચાલુ હતી ત્યારે ક્લબની સીડી પાસે એક એમ્બેસેડર કાર આવીને ઊભી રહી. પાછળની સીટ પર બેઠેલો મહેન્દ્રસિંહ દરવાજો ખોલીને નીચે ઉતર્યો. તેના બન્ને હાથમાં બે ઓટોમેટિક પિસ્તોલ હતી. સફેદ પેન્ટ-શર્ટ, સફેદ બૂટ અને નીચે ચાલતી રેસ્ટોરન્ટ બહાર લાગેલી રંગીન લાઇટના ઝબકારા મહેન્દ્રસિંહ અને તેની ગાડી પર પડી રહ્યાં હતા. નીચે ઊભેલા બોડીગાર્ડ મહેન્દ્રસિંહના બન્ને હાથમાં વેપન જોતા જ તેના તાબે થઇ ગયા અને નજીક ધસી જઇ કહ્યું, ‘ભાઇ બાલ બચ્ચેવાલે હૈ હમે જાને દો’ મહેન્દ્રએ માત્ર હાથના ઇશારાથી તેમને ભાગી જવા કહ્યું. આ દિવસે પણ મહેન્દ્રસિંહ ક્લબમાં જઇ ધાણીફૂટ ગોળીબાર કરી ફરાર થઇ ગયો હતો.

૯૦ના દાયકામાં બનેલી આ ઘટનાએ સુરતમાં ખળભાળટ મચાવી દીધો. મહેન્દ્રસિંહે સુરતમાં માત્ર મહેન્દ્ર શાહ પાસેથી જ નહીં લગભગ બે ડઝનથી વધુ વેપારીઓ પાસેથી પણ કરોડો રૂપિયાની ખંડણી વસૂલી લીધી હતી. એક વેપારીની તો આલિશાન ગાડી પણ તેણે પડાવી લીધી હતી. હવે મહેન્દ્રસિંહનો આતંક માત્ર સુરત નહીં પણ મુંબઇ સુધી વ્યાપી ગયો હતો. તેણે ખંડણી અને લૂંટ માટે મુંબઇમાં દસ અને બેંગ્લોર જઇ ત્રણ હત્યા કરી હતી. આ સમય દરમિયાન તેણે કરોડો રૂપિયા વસૂલ્યા અને મુંબઇમાં એક આલીશાન બંગલો પણ ખરીદી લીધો હતો.

મહેન્દ્રસિંહના આતંકથી કંટાળીને એક દિવસ સુરતના વેપારીઓનું એક સંગઠન સરકારને મળ્યું અને મહેન્દ્રસિંહનો આતંક ખતમ કરવા રજૂઆત કરી. સરકાર પણ મહેન્દ્રસિંહના ઉપદ્રવથી ચિંતામાં હતી. અંતે મહેન્દ્રસિંહને પકડવાનું કામ સી.આઈ.ડી.ને સોંપાયું. આ સમયે સી.આઈ.ડી.ના વડા બિન્દ્રા અને ડીસીપી પી.પી પાન્ડેય હતા. કહેવાય છે કે, તે સમયે રાજ્યના એક સિનિયર આઈ.પી.એસ.ને બોલાવી સરકારે (ઓફ રેકોર્ડ) કહ્યું હતુ કે, મહેન્દ્રસિંહને જીવતો કે મરેલો ગમે તેમ પણ પકડી લાવો.

સી.આઈ.ડી.ને જ્યારે આ મહત્વની જવાબદારી સોંપાઇ ત્યારે સૌથી પહેલા નડિયાદ એલ.સી.બી.ના પી.આઈ કે.પી સ્વામીને ગાંધીનગરનું તેડું આવ્યું. કે.પી સ્વામી સી.આઈ.ડી.ની ઓફિસ પર પહોંચ્યા અને પી.પી પાન્ડેયના પી.એને જાણ કરી કે, ‘સાહેબે ખાસ કામથી બોલાવ્યો છે, કહેજો કે આવી ગયો છું’. સવારે ૧૧ વાગ્યાનો સમય હતો. પી.એ.એ એક પટાવાળાને મોકલ્યો અને પાન્ડેયને જાણ કરવા કહ્યું. પટાવાળો બહાર આવતા જ તેની સાથે ત્રણેક સામાન્ય લોકો પણ પાન્ડેયની કેબિનની બહાર આવી ગયા. હકીકતમાં પટાવાળાએ જ્યારે સ્વામી આવ્યાં છે એમ કહ્યું ત્યારે ત્રણ મુલાકાતીઓ પાન્ડેય સાથે વાત કરી રહ્યાં હતા. પણ સ્વામીનું નામ પડતા જ ત્રણેયને પાન્ડેયે માથુ ધુણાવતા કહી દીધું ‘પછી મળીશું, મારે જરૂરી કામ છે’. ત્રણેય સમજી ગયા અને પટાવાળાની પાછળ પાછળ બહાર નીકળી ગયા.
કે.પી સ્વામી પાન્ડેયની ચેમ્બરમાં પ્રવેશ્યા અને પગ પછાડતા સેલ્યુટ કરી. પાન્ડેયે કહ્યું, ‘આવો બેસો સ્વામી’. પાન્ડેયે સરકારની ઇચ્છા સ્વામીને કહી અને મહેન્દ્રસિંહને પકડવા એક સ્કવોડ બનાવવાની વાત કરી. જેમાં સ્વામીને પી.આઈ. તરીકે નિમણૂક કર્યા. પાન્ડેયે પુછ્યું કે, ‘ટીમમાં કોણ કોણ જોઇએ છે?’ ત્યારે સ્વામીએ તે સમયના સરખેજ, રાજકોટ અને આણંદના એમ ત્રણ પી.એસ.આઈ.ના નામ આપ્યા. સાથે નડિયાદમાં એલ.સી.બી.ના સ્ટાફમાંથી ચાર કોન્સ્ટેબલ અને સલીમ નામના એક ખાનગી માણસની નડિયાદથી માગણી કરી.

સી.આઈ.ડી.ના આ સ્કવોડનો પત્ર રાજ્ય પોલીસ વડાએ અમદાવાદ જિલ્લા (તે સમયે સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ જિલ્લાની હદમાં હતું), રાજકોટ અને આણંદના એસ.પીને મોકલી અંદર લખેલા નામ વાળા કોન્સ્ટેબલ અને પી.એસ.આઈ.ને મોકલી આપવા સૂચના આપી.

મહેન્દ્રસિંહના નામનો ખોફ એટલો હતો કે, સરખેજના પી.એસ.આઇ આવીને સીધા સ્વામીના પગે પડી ગયા અને આજીજી કરી કે, ‘મને આ સ્કવોડમાં ના રાખો પ્લીઝ…’ સરખેજના પી.એસ.આઈને પડતા મૂકાયા, તો રાજકોટના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા હતા તેણે કહ્યું કે, ‘મારે જીપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલે છે, હું સ્કવોડમાં કામ નહીં કરી શકું’. જ્યારે ત્રીજા પી.એસ.આઇ.એ તો બહાનું કાઢ્યું કે, ‘મારી પત્ની ઘરે એકલી હોય છે, માટે ૫ વાગ્યે તો મારે ઘરે જતુ જ રહેવું પડે’. સ્વામીએ અંતે ત્રણેયને બદલી નાંખ્યા. હવે શરૂ થયું મહેન્દ્રસિંહને પકડી પાડવાનું ખરાખરીનું ઓપરેશન.

મહેન્દ્રસિંહે સુરતમાં ઉત્પાત મચાવ્યો હતો. માટે પી.આઈ. સ્વામીએ સ્કવોડ સાથે સુરતમાં જ ધામા નાંખ્યા. ખાનગી કપડામાં રોજ મહેન્દ્રસિંહની વોચ શરૂ થઇ. આ વોચ દરમિયાન સ્વામીને જાણવા મળ્યું કે, મહેન્દ્રસિંહના એક સાગરીત આયરની બારડોલી હાઇવે પર હોટલ છે. મહેન્દ્રસિંહ થોડા દિવસ પહેલા તેને ત્યાં રોકાયો હતો. સ્વામીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, તે આયર પાંચેક દિવસથી લાપતા છે. તેનો પરિવાર પણ તેને શોધે છે. પી.આઈ સ્વામી સીધા તે આયરના ઘરે પહોંચી ગયા અને તેની પત્નીને પુછ્યું કે ‘ક્યાં છે તારો પતિ?’ મહિલાએ કહ્યું, ‘મહેન્દ્રસિંહ આવ્યાં હતા. તેમના મિત્ર છે અને બન્ને જોડે ક્યાંક બહાર ગયા છે, પણ અઠવાડિયાથી પાછા આવ્યાં નથી’. સ્વામીને કુદરતી વિચાર આવ્યો કે, ‘નક્કી આ આયરની મહેન્દ્રસિંહે હત્યા કરી છે. કારણ કે તે પોતાના કોઇ સાગરીતને જીવતો નહોતો છોડતો કે જે તેની બાતમી કે નિશાની આપે. આ વાત કે.પી સ્વામી સારી રીતે જાણતા હતાં. સ્વામી ત્યાંથી નીકળ્યા પણ આયરની પત્નીને કશું કહ્યાં વગર સીધા નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંના પી.આઈ.ને ઓળખ આપી જાણ કરી કે, નક્કી આ આયરની હત્યા થઇ છે, તેના પરિવારને કશું કહ્યું નથી પણ તપાસ કરજો. સ્વામીનો અંદાજ સાચો ઠર્યો, બે દિવસમાં બારડોલી નજીકથી આયરની કહોવાઇ ગયેલી લાશ મળી આવી.

લગભગ પાંચેક મહિનાની તપાસ બાદ સ્વામીને માહિતી મળી કે, મહેન્દ્રસિંહ હાલ સુરતમાં નહીં પણ મુંબઇ જતો રહ્યો છે અને બાન્દ્રા રોડ પર રહે છે. સ્વામીને માહિતી મળી કે, મહેન્દ્રસિંહને મધ્ય પ્રદેશની એક મુસ્લિમ મહિલા સાથે પ્રેમ થઇ ગયો હતો અને બન્નેએ લગ્ન કરી લીધા છે અને તેમને હાલ એક દીકરી પણ છે. જ્યારે કિરણને તો તે હજુ રખાતની જેમ જ રાખતો હતો.
સ્વામીએ મુંબઇના બાન્દ્રામાં પોતાના કોન્સ્ટેબલોને વોચ માટે મોકલ્યા ત્યારે માહિતી મળી કે, સુરતના એક વેપારીની મોંઘીદાટ ગાડી તેણે લૂંટી લીધી છે તે લઇને તે મુંબઇમાં ફરે છે. મહેન્દ્રસિંહ જે ગાડીમાં ફરે છે તેવી લક્ઝુરિયસ કાર હાલ મુંબઇમાં ગણતરીની જ છે.

એક દિવસ સવારે મહેન્દ્રસિંહનું લગભગ લોકેશન મળી ગયું અને તેને પકડવાનું ઓપરેશન શરૂ જ થવાનું હતુ. પણ સ્વામીના નસીબ થોડા નબળા પડ્યાં. તેમને ખેડા કોર્ટમાંથી એક મહત્વના કેસમાં જુબાની આપવાનું તેડું આવ્યું. તેમને તાત્કાલીક જવું પડ્યું. આ સમયે સુરતના પોલીસ કમિશનર હતા આર. સિબ્બલ. તેમને પણ પોતાની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી યુ.ટી બ્રહ્મભટ્ટ (ઉદય બ્રહ્મભટ્ટ) દ્વારા માહિતી મળી હતી કે, મહેન્દ્રસિંહ બાન્દ્રા રોડ પર છે. સી.આઈ.ડી.ની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ મહેન્દ્રસિંહની તપાસ કરતી હતી.

પોલીસ કમિશનર સિબ્બલે આદેશ કર્યો અને પી.આઈ બ્રહ્મભટ્ટ પોતાની ટીમ સાથે મુંબઇના બાન્દ્રા પહોંચી ગયા. ત્યાં પહેલા બાતમી પ્રમાણે મહેન્દ્રસિંહના ઘરે તપાસ કરી પણ કોઇ મળ્યું નહીં. પરંતુ પાછા ફરતી વેળા તેમનો સ્કવોડ મહેન્દ્રસિંહની કાર એક બેકરીની બહાર પાર્ક કરેલી જોઇ ગયો.
પોલીસ રોડ પર જ ખાનગી કપાડમાં વોચમાં ઉભી રહી ગઇ અને મહેન્દ્રસિંહના આવવાની રાહ જોવા લાગી. કોઇને ખબર નહોતી કે, મહેન્દ્રસિંહ આ ગાડી લેવા ક્યારે આવશે? બસ રાહ જોવી એક માત્ર રસ્તો હતો. પણ પોલીસની મહેનત રંગ લાવી અને પંદરેક મિનિટમાં જ મહેન્દ્રસિંહ હાથમાં એક પેકેટ લઇને બહાર નીકળ્યો. ગાડીનો દરવાજો ખોલીને અંદર બેસે તે પહેલા જ ખાનગી કપડામાં ઉભેલી ઉદય બ્રહ્મભટ્ટની ટીમ તેના પર તુટી પડી અને પકડી પાડ્યો. મહેન્દ્રસિંહને લાગ્યુ કે, કોઇ ગેંગ વાળાએ તેને પકડ્યો છે. કહેવાય છે કે, આ સમયે રોડ પર ઉભેલી મુંબઇ પોલીસના ત્રણેક કોન્સ્ટેબલ પણ આ દ્રશ્ય જોઇ આઘાપાછા થઇ ગયા. તેમને લાગ્યું ગેંગ વોર શરૂ થયું છે. મહેન્દ્રસિંહને હજુ ખ્યાલ જ નહોતો કે, આ પોલીસ છે! તેણે હિન્દીમાં કહ્યું, ‘તુમ્હારે બોસ સે બાત કરવા દોતુમ જો ભી હો..!’ પોલીસે તેને કમરના ભાગે પાછળ પેન્ટથી અને શર્ટનો કોલર ગરદનથી પકડી બળજબરીથી પોતાની ખાનગી ગાડીમાં બેસાડી દીધો. હજુ મહેન્દ્રસિંહના હાથમાં પેલુ પેકેટ તો હતુ જ તે લઇ પોલીસકર્મીઓએ જ્યારે તેને હાથકડી પહેરાવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, આ કોઇ ગેંગના સભ્યો નહીં પણ પોલીસ છે. તેણે પી.આઈ બ્રહ્મભટ્ટને કાકલૂદી કરતા કહ્યું, ‘સાહેબ આજે જવાદો નેમારી દીકરીનો જન્મ દિવસ છે અને તેની માટે કેક લેવા આવ્યો છું. બસ કેક કપાવીને પાછો આવી જઇશ’. બ્રહ્મભટ્ટ બોલ્યા, ‘હવે બહુ થયું મહેન્દ્રચાલ…’

પોલીસ મહેન્દ્રસિંહને લઇને સુરત આવી ગઇ. ત્રણેક દિવસના આ ઓપરેશનની જાણ કે.પી સ્વામીને થઇ ત્યારે તેમને મનોમન અફસોસ થયો કે, કદાચ જો કોર્ટનું કામ ના આવતુ તો મહેન્દ્રસિંહને હું પકડી પાડતો. પણ ખેર, મહેન્દ્રસિંહને પકડ્યો તો ગુજરાત પોલીસે જ હતો. સ્પેશિયલ સ્કવોડ બન્યું હોવાથી હવે કે.પી સ્વામી સાથે પી.પી પાન્ડેય પણ સુરત પહોંચ્યા અને મહેન્દ્રસિંહની ધરપકડની સાંજે જ તેની ક્રાઇમ બ્રાન્ચમાં જઇ પુછપરછ કરી.

કહેવાય છે કે, મહેન્દ્રસિંહની ધરપકડ થયાની વાત જાણવા મળતા જ સુરતના કેટલાક વેપારીઓ રાજ્યના એક ‘નામદાર’ આઈ.પી.એસ.ને મળ્યા અને કહ્યું કે, સાહેબ આનું એન્કાઉન્ટર કરી દોતમે જે કહેશો તે અમે કરવા તૈયાર છીએ..! અધિકારીએ કહ્યું, ના, જે થશે તે કાયદા મુજબ જ થશે. જો કે, મહેન્દ્રસિંહના નસીબે હવે તેનો સાથ છોડી દીધો હતો. મહેન્દ્રસિંહને જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના લોકોઅપમાં પુરવામાં આવ્યો તે રાત્રે તેણે લોકઅપના સળીયા પકડીને બહાર પહેરામાં ઉભેલા એક કોન્સ્ટેબલને કહ્યું કે, ‘અહીંથી બહાર નીકળીને સૌથી પહેલી હત્યા હવે કોઇની કરીશ તો તે પી.આઈ. બ્રહ્મભટ્ટની જ હશે’. જો કે, મહેન્દ્રસિંહની આ શેખી કલાકો પુરતી જ હતી કારણ તેણે કરેલા કર્મોનો ઘડો ભરાઇ ગયો હતો.
બીજા દિવસે મહેન્દ્રસિંહના રિમાન્ડ મેળવીને પોલીસે તપાસ કરી. ત્યારે તેણે ઘટસ્ફોટ કર્યો કે, તે કામરેજ હાઇવેના એક ચાર રસ્તા નજીક મકાન ભાડે રાખીને રહેતો હતો. જ્યારે પણ કોઇ મોટા ગુનાને અંજામ આપે ત્યારે પોલીસ સુરત-મુંબઇ અને સુરત વડોદરાના હાઇ‌-વે પર નાકાબંધી કરી તપાસ કરતી પણ અધવચે ક્યારેય તપાસ કરતી નહીં અને તે પોલીસથી બચી જતો હતો. મહેન્દ્રસિંહે પોલીસના ટોર્ચર સામે એ પણ કબૂલાત કરી કે, તેણે એક ઓટોમેટીક વેપન ખરીદી રાખ્યું છે અને તે હજુ કામરેજના મકાનમાં બેડમાં ઓશીકા નીચે સંતાડી રાખ્યું છે. પોલીસ આ વેપન કબજે કરવા અને પંચનામુ કરવા મહેન્દ્રને સાથે રાખીને કામરેજ જે તે મકાન પર પહોંચી.

પી.આઈ ઉદય બ્રહ્મભટ્ટ અને તેમની સાથે મોટો એવો પોલીસ કાફલો પણ હતો. કહેવાય છે ને કે, વિનાશ કાળે વિપરીત બુધ્ધી. પોલીસને વેપન આપવાની જગ્યાએ મહેન્દ્રસિંહે ઓશીકું ઊંચુ કરીને નીચેથી રિવલ્વર કાઢી સીધુ પોલીસ પર ફાયરીંગ જ કર્યુ. જેમાં એક કોન્સ્ટેબલના ખભા પરથી ગોળી ઘસરકો મારતી નીકળી ગઇ. મહેન્દ્રસિંહ બીજુ ફાયર કરે તે પહેલા પી.આઈ. ઉદય બ્રહ્મભટ્ટે એક જ ગોળીના ભડાકે મહેન્દ્રસિંહને કાયમ માટે શાંત કરી દીધો..!
ઉત્તર ગુજરાતના વૃધ્ધ માં-બાપ છેલ્લી ઘડીએ તેમના દીકરાનું મોં નહોતા જોઇ શક્યા અને કર્મોની સજા મળતા મહેન્દ્રસિંહ છેલ્લી ઘડીએ તેની વ્હાલી દીકરીનું મોં ન જોઇ શક્યો!

સમાપ્ત.
(નોંધ- કહાનીમાં કેટલાક પાત્રોના નામ બદલવામાં આવ્યાં છે)

આ ક્રાઇમ કહાનીના આગળના બે ભાગ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો...

ભાગ-૨ 
https://mihirbhatt99.blogspot.com/2020/04/blog-post_27.html
ભાગ-૧ 
https://mihirbhatt99.blogspot.com/2020/04/blog-post.html


#CrimeKahani #GujaratPolice #Encounter #MahendrasinhRathod #SuratPolice #AhmedabadCrimeBranch #Ahmedabad #MihirBhat

8 comments:

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...