Wednesday, April 29, 2020

મહેન્દ્રસિંહે કાકલૂદી કરી કે, બસ એક કલાકનો સમય આપો આજે મારી દીકરીનો જન્મ દિવસ છે પણ તેના ‘કર્મો’એ મંજૂરી ના આપી…


MIHIR BHTT

followme on Twitter @MihirBhatt99

ભાગ-૩

સુરત સ્થાયી થયા બાદ મહેન્દ્રસિંહનું ગુનાની દુનિયામાં એકચક્રી શાસન ચાલ્યું, અપહરણ, ખંડણી, હત્યા અને લમણે રિવોલ્વર મૂકીને લૂંટ જેવા અનેક ગુના તેણે આચર્યા. માત્ર સુરત જ નહીં, આસપાસના જિલ્લા અને છેક મુંબઇ સુધી તે ગુના આચરવા લાગ્યો હતો. જેનાથી સુરત અને આસપાસના વિસ્તારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

સુરતના ધનાઢ્ય એવા ઘોડદોડ રોડ પર એ સમયે મહેન્દ્ર શાહની રીચી-રીચ નામની ક્લબ ધમધમતી હતી. કહેવાય છે કે, અમદાવાદમાં ચાલતી કલગી ક્લબનુ નામ પણ અહીંથી જ આવ્યું હતું. જો કે, તે વાતને કોઇ ચોક્કસ સમર્થન નથી. મહેન્દ્રસિંહની એક ખુબી એ પણ હતી કે, તે જ્યાં જાય ત્યાં વર્ચસ્વ ધરાવતા લોકો જોડે સંબંધ બાંધી લેતો. સુરતમાં પણ તેણે મહેન્દ્ર શાહ સાથે મિત્રતા કરી લીધી હતી. મહેન્દ્ર શાહ પાક્કા વેપારી છતાં સંબંધ નિભાવાના હોય ત્યારે ક્યાંક ખોટ ખાઇ લેવી તે તેમનો સદગુણ હતો. કદાચ એટલે જ આવો ગુનેગાર મહિનાઓ સુધી તેમનો મિત્ર બની રહ્યો હશે. મહેન્દ્રસિંહ જાણતો હતો કે, રીચી-રીચ ક્લબમાં કરોડો રૂપિયાના દાવ લાગે છે.  એક દિવસ ક્લબ જુગારીઓથી ધમધમતી હતી. સાંજના સાતેક વાગ્યા હતા અને મહેન્દ્રસિંહ ક્લબમાં મશીનગન લઇને ઘૂસી ગયો અને મહેન્દ્ર શાહ પર ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં મહેન્દ્ર શાહ તો બચી ગયા પણ ક્લબમાં ભારે દોડધામ મચી ગઇ. મહેન્દ્રસિંહે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી અને ભાગી ગયો. આ ઘટના પછી પોલીસ કેસ થયો અને ક્લબ થોડા સમય માટે બંધ થઇ ગઇ. ક્લબ થોડા મહિના પછી ફરી શરૂ થઇ પણ આ વખતે મહેન્દ્ર શાહે બિહારથી ખડતલ બોડીગાર્ડ બોલાવી તહેનાત કરી દીધા હતા. નીચે રેસ્ટોરન્ટ અને ત્યાંથી જ સીડી ચડીને ઉપર જતા ક્લબ આવે. બોડીગાર્ડ નીચે રોડ પરથી માંડીને સીડી અને ક્લબના ઉપરના માળના દરવાજા સુધી ગોઠવી દેવાયા હતા. કાળા સફારી શૂટમાં ગોઠવાયેલા બોડી ગાર્ડેસે પણ મહેન્દ્રસિંહના ફાયરિંગની વાત સાંભળી હતી તેથી તેઓ પણ સતત સતર્ક રહેતા હતા. એક દિવસ રાતે ૧૦ વાગ્યે ક્લબ ચાલુ હતી ત્યારે ક્લબની સીડી પાસે એક એમ્બેસેડર કાર આવીને ઊભી રહી. પાછળની સીટ પર બેઠેલો મહેન્દ્રસિંહ દરવાજો ખોલીને નીચે ઉતર્યો. તેના બન્ને હાથમાં બે ઓટોમેટિક પિસ્તોલ હતી. સફેદ પેન્ટ-શર્ટ, સફેદ બૂટ અને નીચે ચાલતી રેસ્ટોરન્ટ બહાર લાગેલી રંગીન લાઇટના ઝબકારા મહેન્દ્રસિંહ અને તેની ગાડી પર પડી રહ્યાં હતા. નીચે ઊભેલા બોડીગાર્ડ મહેન્દ્રસિંહના બન્ને હાથમાં વેપન જોતા જ તેના તાબે થઇ ગયા અને નજીક ધસી જઇ કહ્યું, ‘ભાઇ બાલ બચ્ચેવાલે હૈ હમે જાને દો’ મહેન્દ્રએ માત્ર હાથના ઇશારાથી તેમને ભાગી જવા કહ્યું. આ દિવસે પણ મહેન્દ્રસિંહ ક્લબમાં જઇ ધાણીફૂટ ગોળીબાર કરી ફરાર થઇ ગયો હતો.

૯૦ના દાયકામાં બનેલી આ ઘટનાએ સુરતમાં ખળભાળટ મચાવી દીધો. મહેન્દ્રસિંહે સુરતમાં માત્ર મહેન્દ્ર શાહ પાસેથી જ નહીં લગભગ બે ડઝનથી વધુ વેપારીઓ પાસેથી પણ કરોડો રૂપિયાની ખંડણી વસૂલી લીધી હતી. એક વેપારીની તો આલિશાન ગાડી પણ તેણે પડાવી લીધી હતી. હવે મહેન્દ્રસિંહનો આતંક માત્ર સુરત નહીં પણ મુંબઇ સુધી વ્યાપી ગયો હતો. તેણે ખંડણી અને લૂંટ માટે મુંબઇમાં દસ અને બેંગ્લોર જઇ ત્રણ હત્યા કરી હતી. આ સમય દરમિયાન તેણે કરોડો રૂપિયા વસૂલ્યા અને મુંબઇમાં એક આલીશાન બંગલો પણ ખરીદી લીધો હતો.

મહેન્દ્રસિંહના આતંકથી કંટાળીને એક દિવસ સુરતના વેપારીઓનું એક સંગઠન સરકારને મળ્યું અને મહેન્દ્રસિંહનો આતંક ખતમ કરવા રજૂઆત કરી. સરકાર પણ મહેન્દ્રસિંહના ઉપદ્રવથી ચિંતામાં હતી. અંતે મહેન્દ્રસિંહને પકડવાનું કામ સી.આઈ.ડી.ને સોંપાયું. આ સમયે સી.આઈ.ડી.ના વડા બિન્દ્રા અને ડીસીપી પી.પી પાન્ડેય હતા. કહેવાય છે કે, તે સમયે રાજ્યના એક સિનિયર આઈ.પી.એસ.ને બોલાવી સરકારે (ઓફ રેકોર્ડ) કહ્યું હતુ કે, મહેન્દ્રસિંહને જીવતો કે મરેલો ગમે તેમ પણ પકડી લાવો.

સી.આઈ.ડી.ને જ્યારે આ મહત્વની જવાબદારી સોંપાઇ ત્યારે સૌથી પહેલા નડિયાદ એલ.સી.બી.ના પી.આઈ કે.પી સ્વામીને ગાંધીનગરનું તેડું આવ્યું. કે.પી સ્વામી સી.આઈ.ડી.ની ઓફિસ પર પહોંચ્યા અને પી.પી પાન્ડેયના પી.એને જાણ કરી કે, ‘સાહેબે ખાસ કામથી બોલાવ્યો છે, કહેજો કે આવી ગયો છું’. સવારે ૧૧ વાગ્યાનો સમય હતો. પી.એ.એ એક પટાવાળાને મોકલ્યો અને પાન્ડેયને જાણ કરવા કહ્યું. પટાવાળો બહાર આવતા જ તેની સાથે ત્રણેક સામાન્ય લોકો પણ પાન્ડેયની કેબિનની બહાર આવી ગયા. હકીકતમાં પટાવાળાએ જ્યારે સ્વામી આવ્યાં છે એમ કહ્યું ત્યારે ત્રણ મુલાકાતીઓ પાન્ડેય સાથે વાત કરી રહ્યાં હતા. પણ સ્વામીનું નામ પડતા જ ત્રણેયને પાન્ડેયે માથુ ધુણાવતા કહી દીધું ‘પછી મળીશું, મારે જરૂરી કામ છે’. ત્રણેય સમજી ગયા અને પટાવાળાની પાછળ પાછળ બહાર નીકળી ગયા.
કે.પી સ્વામી પાન્ડેયની ચેમ્બરમાં પ્રવેશ્યા અને પગ પછાડતા સેલ્યુટ કરી. પાન્ડેયે કહ્યું, ‘આવો બેસો સ્વામી’. પાન્ડેયે સરકારની ઇચ્છા સ્વામીને કહી અને મહેન્દ્રસિંહને પકડવા એક સ્કવોડ બનાવવાની વાત કરી. જેમાં સ્વામીને પી.આઈ. તરીકે નિમણૂક કર્યા. પાન્ડેયે પુછ્યું કે, ‘ટીમમાં કોણ કોણ જોઇએ છે?’ ત્યારે સ્વામીએ તે સમયના સરખેજ, રાજકોટ અને આણંદના એમ ત્રણ પી.એસ.આઈ.ના નામ આપ્યા. સાથે નડિયાદમાં એલ.સી.બી.ના સ્ટાફમાંથી ચાર કોન્સ્ટેબલ અને સલીમ નામના એક ખાનગી માણસની નડિયાદથી માગણી કરી.

સી.આઈ.ડી.ના આ સ્કવોડનો પત્ર રાજ્ય પોલીસ વડાએ અમદાવાદ જિલ્લા (તે સમયે સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ જિલ્લાની હદમાં હતું), રાજકોટ અને આણંદના એસ.પીને મોકલી અંદર લખેલા નામ વાળા કોન્સ્ટેબલ અને પી.એસ.આઈ.ને મોકલી આપવા સૂચના આપી.

મહેન્દ્રસિંહના નામનો ખોફ એટલો હતો કે, સરખેજના પી.એસ.આઇ આવીને સીધા સ્વામીના પગે પડી ગયા અને આજીજી કરી કે, ‘મને આ સ્કવોડમાં ના રાખો પ્લીઝ…’ સરખેજના પી.એસ.આઈને પડતા મૂકાયા, તો રાજકોટના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા હતા તેણે કહ્યું કે, ‘મારે જીપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલે છે, હું સ્કવોડમાં કામ નહીં કરી શકું’. જ્યારે ત્રીજા પી.એસ.આઇ.એ તો બહાનું કાઢ્યું કે, ‘મારી પત્ની ઘરે એકલી હોય છે, માટે ૫ વાગ્યે તો મારે ઘરે જતુ જ રહેવું પડે’. સ્વામીએ અંતે ત્રણેયને બદલી નાંખ્યા. હવે શરૂ થયું મહેન્દ્રસિંહને પકડી પાડવાનું ખરાખરીનું ઓપરેશન.

મહેન્દ્રસિંહે સુરતમાં ઉત્પાત મચાવ્યો હતો. માટે પી.આઈ. સ્વામીએ સ્કવોડ સાથે સુરતમાં જ ધામા નાંખ્યા. ખાનગી કપડામાં રોજ મહેન્દ્રસિંહની વોચ શરૂ થઇ. આ વોચ દરમિયાન સ્વામીને જાણવા મળ્યું કે, મહેન્દ્રસિંહના એક સાગરીત આયરની બારડોલી હાઇવે પર હોટલ છે. મહેન્દ્રસિંહ થોડા દિવસ પહેલા તેને ત્યાં રોકાયો હતો. સ્વામીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, તે આયર પાંચેક દિવસથી લાપતા છે. તેનો પરિવાર પણ તેને શોધે છે. પી.આઈ સ્વામી સીધા તે આયરના ઘરે પહોંચી ગયા અને તેની પત્નીને પુછ્યું કે ‘ક્યાં છે તારો પતિ?’ મહિલાએ કહ્યું, ‘મહેન્દ્રસિંહ આવ્યાં હતા. તેમના મિત્ર છે અને બન્ને જોડે ક્યાંક બહાર ગયા છે, પણ અઠવાડિયાથી પાછા આવ્યાં નથી’. સ્વામીને કુદરતી વિચાર આવ્યો કે, ‘નક્કી આ આયરની મહેન્દ્રસિંહે હત્યા કરી છે. કારણ કે તે પોતાના કોઇ સાગરીતને જીવતો નહોતો છોડતો કે જે તેની બાતમી કે નિશાની આપે. આ વાત કે.પી સ્વામી સારી રીતે જાણતા હતાં. સ્વામી ત્યાંથી નીકળ્યા પણ આયરની પત્નીને કશું કહ્યાં વગર સીધા નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંના પી.આઈ.ને ઓળખ આપી જાણ કરી કે, નક્કી આ આયરની હત્યા થઇ છે, તેના પરિવારને કશું કહ્યું નથી પણ તપાસ કરજો. સ્વામીનો અંદાજ સાચો ઠર્યો, બે દિવસમાં બારડોલી નજીકથી આયરની કહોવાઇ ગયેલી લાશ મળી આવી.

લગભગ પાંચેક મહિનાની તપાસ બાદ સ્વામીને માહિતી મળી કે, મહેન્દ્રસિંહ હાલ સુરતમાં નહીં પણ મુંબઇ જતો રહ્યો છે અને બાન્દ્રા રોડ પર રહે છે. સ્વામીને માહિતી મળી કે, મહેન્દ્રસિંહને મધ્ય પ્રદેશની એક મુસ્લિમ મહિલા સાથે પ્રેમ થઇ ગયો હતો અને બન્નેએ લગ્ન કરી લીધા છે અને તેમને હાલ એક દીકરી પણ છે. જ્યારે કિરણને તો તે હજુ રખાતની જેમ જ રાખતો હતો.
સ્વામીએ મુંબઇના બાન્દ્રામાં પોતાના કોન્સ્ટેબલોને વોચ માટે મોકલ્યા ત્યારે માહિતી મળી કે, સુરતના એક વેપારીની મોંઘીદાટ ગાડી તેણે લૂંટી લીધી છે તે લઇને તે મુંબઇમાં ફરે છે. મહેન્દ્રસિંહ જે ગાડીમાં ફરે છે તેવી લક્ઝુરિયસ કાર હાલ મુંબઇમાં ગણતરીની જ છે.

એક દિવસ સવારે મહેન્દ્રસિંહનું લગભગ લોકેશન મળી ગયું અને તેને પકડવાનું ઓપરેશન શરૂ જ થવાનું હતુ. પણ સ્વામીના નસીબ થોડા નબળા પડ્યાં. તેમને ખેડા કોર્ટમાંથી એક મહત્વના કેસમાં જુબાની આપવાનું તેડું આવ્યું. તેમને તાત્કાલીક જવું પડ્યું. આ સમયે સુરતના પોલીસ કમિશનર હતા આર. સિબ્બલ. તેમને પણ પોતાની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી યુ.ટી બ્રહ્મભટ્ટ (ઉદય બ્રહ્મભટ્ટ) દ્વારા માહિતી મળી હતી કે, મહેન્દ્રસિંહ બાન્દ્રા રોડ પર છે. સી.આઈ.ડી.ની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ મહેન્દ્રસિંહની તપાસ કરતી હતી.

પોલીસ કમિશનર સિબ્બલે આદેશ કર્યો અને પી.આઈ બ્રહ્મભટ્ટ પોતાની ટીમ સાથે મુંબઇના બાન્દ્રા પહોંચી ગયા. ત્યાં પહેલા બાતમી પ્રમાણે મહેન્દ્રસિંહના ઘરે તપાસ કરી પણ કોઇ મળ્યું નહીં. પરંતુ પાછા ફરતી વેળા તેમનો સ્કવોડ મહેન્દ્રસિંહની કાર એક બેકરીની બહાર પાર્ક કરેલી જોઇ ગયો.
પોલીસ રોડ પર જ ખાનગી કપાડમાં વોચમાં ઉભી રહી ગઇ અને મહેન્દ્રસિંહના આવવાની રાહ જોવા લાગી. કોઇને ખબર નહોતી કે, મહેન્દ્રસિંહ આ ગાડી લેવા ક્યારે આવશે? બસ રાહ જોવી એક માત્ર રસ્તો હતો. પણ પોલીસની મહેનત રંગ લાવી અને પંદરેક મિનિટમાં જ મહેન્દ્રસિંહ હાથમાં એક પેકેટ લઇને બહાર નીકળ્યો. ગાડીનો દરવાજો ખોલીને અંદર બેસે તે પહેલા જ ખાનગી કપડામાં ઉભેલી ઉદય બ્રહ્મભટ્ટની ટીમ તેના પર તુટી પડી અને પકડી પાડ્યો. મહેન્દ્રસિંહને લાગ્યુ કે, કોઇ ગેંગ વાળાએ તેને પકડ્યો છે. કહેવાય છે કે, આ સમયે રોડ પર ઉભેલી મુંબઇ પોલીસના ત્રણેક કોન્સ્ટેબલ પણ આ દ્રશ્ય જોઇ આઘાપાછા થઇ ગયા. તેમને લાગ્યું ગેંગ વોર શરૂ થયું છે. મહેન્દ્રસિંહને હજુ ખ્યાલ જ નહોતો કે, આ પોલીસ છે! તેણે હિન્દીમાં કહ્યું, ‘તુમ્હારે બોસ સે બાત કરવા દોતુમ જો ભી હો..!’ પોલીસે તેને કમરના ભાગે પાછળ પેન્ટથી અને શર્ટનો કોલર ગરદનથી પકડી બળજબરીથી પોતાની ખાનગી ગાડીમાં બેસાડી દીધો. હજુ મહેન્દ્રસિંહના હાથમાં પેલુ પેકેટ તો હતુ જ તે લઇ પોલીસકર્મીઓએ જ્યારે તેને હાથકડી પહેરાવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, આ કોઇ ગેંગના સભ્યો નહીં પણ પોલીસ છે. તેણે પી.આઈ બ્રહ્મભટ્ટને કાકલૂદી કરતા કહ્યું, ‘સાહેબ આજે જવાદો નેમારી દીકરીનો જન્મ દિવસ છે અને તેની માટે કેક લેવા આવ્યો છું. બસ કેક કપાવીને પાછો આવી જઇશ’. બ્રહ્મભટ્ટ બોલ્યા, ‘હવે બહુ થયું મહેન્દ્રચાલ…’

પોલીસ મહેન્દ્રસિંહને લઇને સુરત આવી ગઇ. ત્રણેક દિવસના આ ઓપરેશનની જાણ કે.પી સ્વામીને થઇ ત્યારે તેમને મનોમન અફસોસ થયો કે, કદાચ જો કોર્ટનું કામ ના આવતુ તો મહેન્દ્રસિંહને હું પકડી પાડતો. પણ ખેર, મહેન્દ્રસિંહને પકડ્યો તો ગુજરાત પોલીસે જ હતો. સ્પેશિયલ સ્કવોડ બન્યું હોવાથી હવે કે.પી સ્વામી સાથે પી.પી પાન્ડેય પણ સુરત પહોંચ્યા અને મહેન્દ્રસિંહની ધરપકડની સાંજે જ તેની ક્રાઇમ બ્રાન્ચમાં જઇ પુછપરછ કરી.

કહેવાય છે કે, મહેન્દ્રસિંહની ધરપકડ થયાની વાત જાણવા મળતા જ સુરતના કેટલાક વેપારીઓ રાજ્યના એક ‘નામદાર’ આઈ.પી.એસ.ને મળ્યા અને કહ્યું કે, સાહેબ આનું એન્કાઉન્ટર કરી દોતમે જે કહેશો તે અમે કરવા તૈયાર છીએ..! અધિકારીએ કહ્યું, ના, જે થશે તે કાયદા મુજબ જ થશે. જો કે, મહેન્દ્રસિંહના નસીબે હવે તેનો સાથ છોડી દીધો હતો. મહેન્દ્રસિંહને જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના લોકોઅપમાં પુરવામાં આવ્યો તે રાત્રે તેણે લોકઅપના સળીયા પકડીને બહાર પહેરામાં ઉભેલા એક કોન્સ્ટેબલને કહ્યું કે, ‘અહીંથી બહાર નીકળીને સૌથી પહેલી હત્યા હવે કોઇની કરીશ તો તે પી.આઈ. બ્રહ્મભટ્ટની જ હશે’. જો કે, મહેન્દ્રસિંહની આ શેખી કલાકો પુરતી જ હતી કારણ તેણે કરેલા કર્મોનો ઘડો ભરાઇ ગયો હતો.
બીજા દિવસે મહેન્દ્રસિંહના રિમાન્ડ મેળવીને પોલીસે તપાસ કરી. ત્યારે તેણે ઘટસ્ફોટ કર્યો કે, તે કામરેજ હાઇવેના એક ચાર રસ્તા નજીક મકાન ભાડે રાખીને રહેતો હતો. જ્યારે પણ કોઇ મોટા ગુનાને અંજામ આપે ત્યારે પોલીસ સુરત-મુંબઇ અને સુરત વડોદરાના હાઇ‌-વે પર નાકાબંધી કરી તપાસ કરતી પણ અધવચે ક્યારેય તપાસ કરતી નહીં અને તે પોલીસથી બચી જતો હતો. મહેન્દ્રસિંહે પોલીસના ટોર્ચર સામે એ પણ કબૂલાત કરી કે, તેણે એક ઓટોમેટીક વેપન ખરીદી રાખ્યું છે અને તે હજુ કામરેજના મકાનમાં બેડમાં ઓશીકા નીચે સંતાડી રાખ્યું છે. પોલીસ આ વેપન કબજે કરવા અને પંચનામુ કરવા મહેન્દ્રને સાથે રાખીને કામરેજ જે તે મકાન પર પહોંચી.

પી.આઈ ઉદય બ્રહ્મભટ્ટ અને તેમની સાથે મોટો એવો પોલીસ કાફલો પણ હતો. કહેવાય છે ને કે, વિનાશ કાળે વિપરીત બુધ્ધી. પોલીસને વેપન આપવાની જગ્યાએ મહેન્દ્રસિંહે ઓશીકું ઊંચુ કરીને નીચેથી રિવલ્વર કાઢી સીધુ પોલીસ પર ફાયરીંગ જ કર્યુ. જેમાં એક કોન્સ્ટેબલના ખભા પરથી ગોળી ઘસરકો મારતી નીકળી ગઇ. મહેન્દ્રસિંહ બીજુ ફાયર કરે તે પહેલા પી.આઈ. ઉદય બ્રહ્મભટ્ટે એક જ ગોળીના ભડાકે મહેન્દ્રસિંહને કાયમ માટે શાંત કરી દીધો..!
ઉત્તર ગુજરાતના વૃધ્ધ માં-બાપ છેલ્લી ઘડીએ તેમના દીકરાનું મોં નહોતા જોઇ શક્યા અને કર્મોની સજા મળતા મહેન્દ્રસિંહ છેલ્લી ઘડીએ તેની વ્હાલી દીકરીનું મોં ન જોઇ શક્યો!

સમાપ્ત.
(નોંધ- કહાનીમાં કેટલાક પાત્રોના નામ બદલવામાં આવ્યાં છે)

આ ક્રાઇમ કહાનીના આગળના બે ભાગ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો...

ભાગ-૨ 
https://mihirbhatt99.blogspot.com/2020/04/blog-post_27.html
ભાગ-૧ 
https://mihirbhatt99.blogspot.com/2020/04/blog-post.html


#CrimeKahani #GujaratPolice #Encounter #MahendrasinhRathod #SuratPolice #AhmedabadCrimeBranch #Ahmedabad #MihirBhat

Monday, April 27, 2020

અમદાવાદમાં ‘ભૈયા’ ગેંગ જોડે દુશ્મનાવટ પછી મહેન્દ્રસિંહના ટાર્ગેટ લતીફ, શરીફખાન અને ફઝલુ રહેમાન હતા

MIHIR BHATT

followme on Twitter @MihirBhatt99

ભાગ-૨

નડિયાદના ટેક્ષીડ્રાઇવરની હત્યામાં મહેન્દ્રસિંહ પકડાઇ ગયો. તેણે હિંમતનગર પાસે હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. જોગાજી પરમારે તેને પકડીને તપાસ કરતા હાઇવેની એક હોટલના વૃધ્ધ વેઇટરે તેને ઓળખી લીધો હતો.

મહેન્દ્રસિંહનો કેસ નડિયાદની કોર્ટમાં ચાલ્યો. શરૂઆતના સાતેક મહિના તેને જેલમાં ધકેલી દેવાયો પણ તે દરમિયાન તેને જામીન મળી ગયા. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો માટે સેન્ટ્રલ જેલ કે સબ જેલ કોઇ યુનિવર્સિટીથી કમ નથી હોતી. ત્યાં તેમના જેવા કે તેમનાથી પણ વધુ માથાભારે શખ્સોનો સામનો થાય છે, સંપર્ક થાય છે. ઘણા ગુનેગારો જેલમાં જઇ આવ્યાં બાદ વધુ તાકાતથી ગુના આચરવા લાગ્યાના દાખલા પણ છે. મહેન્દ્રસિંહના કેસમાં પણ આવું બન્યું. સાત મહિનાના જેલવાસ દરમિયાન તે ખેડા અને નડિયાદમાં જેમને નહોતો ઓળખતો તેવા માથાભારે શખ્સોને પણ ઓળખવા લાગ્યો. નડિયાદમાં આ સમયે પ્રતાપ નામના મોરેસલામ શખ્સનો દબદબો હતો. જેલમાંથી મળેલા પરિચયના કારણે મહેન્દ્ર અને પ્રતાપ એકબીજાને ઓળખવા લાગ્યા હતા.  પરંતુ, પ્રતાપ મહેન્દ્ર કરતા વધુ ચબરાક હતો. તે માત્ર ગુનાની દૂનિયામાં જ નહીં પણ સ્થાનિક રાજકારણમાં પણ વર્ચસ્વ ધરાવતો હતો. એક સમયે તો પ્રતાપ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ચૂંટાઇ આવ્યો હતો. આમ ધાક અને રાજનીતિના સંયોગના કારણે તે ખેડાના ઘણા ઉદ્યોગપતિઓના સંપર્કમાં પણ હતો.

વાત ૧૯૮૪ની છે. ખેડા રોડ પર આવેલી ધર્માત્મા નામની ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરોના યુનિયને હડતાળ પાડી. ફેક્ટરીનું કામકાજ ઠપ્પ થઇ ગયું. ફેક્ટરી માલિકે સામ-દામ-દંડ-ભેદ જે રીતે માને તે રીતે કારીગરોને કામ પર ચડાવવાનું કામ પ્રતાપને આપ્યું. પ્રતાપ મહેન્દ્રને પણ ઓળખતો હતો. તેણે પહેલીવાર આ કામમાં મહેન્દ્રસિંહને સાથે લીધો. બન્નેને ફેક્ટરીના માલિક તરફથી કામ પૂરું થયે રૂપિયા મળવાના હતા. દસેક દિવસની બન્નેની મહેનત સફળ રહી. હડતાળ સમેટાઇ ગઇ. દરમિયાન ફેક્ટરીમાં રોજની અવરજવર કરવાના કારણે ત્યાં કામ કરતી કિરણ નામની યુવતી સાથે મહેન્દ્રસિંહને પ્રેમ થઇ ગયો. મૂળ ક્રિશ્ચિયન કિરણ મહેન્દ્રસિંહના પ્રેમમાં ઓળઘોળ થઇ ગઇ. બીજી તરફ મહેન્દ્ર અને પ્રતાપ વચ્ચે ફેક્ટરીના માલિકે આપેલા રૂપિયાને લઇને વિવાદ થયો. આ વિવાદ એટલો વકર્યો કે, બન્નેએ એક બીજાની હત્યા કરવા સુધીના પ્લાન ઘડી કાઢ્યા. બન્ને એક બીજાની કપટી નીતિઓથી પણ પરિચિત હતા માટે બન્ને જાત બચાવવા સતર્ક પણ રહેતા હતા. પ્રતાપ મહેન્દ્રસિંહ સુધી ન પહોંચી શક્યો તો તેણે તેના એક સાગરીત મહમદ અલીની હત્યા કરી નાંખી. સાગરીતની હત્યાથી મહેન્દ્રસિંહ અકળાઇ ઊઠ્યો. હવે તેને કોઇ પણ ભોગે પ્રતાપની હત્યા કરી બદલો લેવો હતો. તે રોજ પ્રતાપની અને તેની આસપાસના લોકોની રેકી કરવા લાગ્યો. એક બપોરે મહેન્દ્રસિંહ પોતાના ઘરે સુતો હતો ત્યારે તેની ગેંગના એક શખ્સે માહિતી આપી કે, ધર્માત્મા ઇન્ડસ્ટ્રી સામેના ગેસ્ટ હાઉસમાં પ્રતાપનો ભાણેજ રોકાયો છે.

મહેન્દ્રસિંહને તો કોઇ પણ રીતે બદલો લેવો જ હતો, બદલો લેવા માટે પ્રતાપ નહીં તો તેનો ભાણીયો. એમ નક્કી કરી તે સાગરીત સાથે હોટલ પર પહોંચી ગયો અને ગેસ્ટ હાઉસના રૂમમાં જ પ્રતાપના નિર્દોષ ભાણેજની હત્યા કરી નાંખી. આ વાત પ્રતાપ સુધી પહોંચતા તે હચમચી ઊઠ્યો. કારણ કે નડિયાદ પ્રતાપનો ગઢ હતો અને તેના પર આ વાર સહન થાય તેવો નહોતો. નડિયાદના ઇતિહાસની કદાચીત આ સૌથી પહેલી લોહિયાળ ગેંગ વોર હતી. પોલીસ એક તરફ મહમદ અલીની હત્યા માટે પ્રતાપને શોધતી હતી તો હવે પ્રતાપના ભાણેજની હત્યામાં મહેન્દ્ર પણ વોન્ટેડ થઇ ગયો. તે નડિયાદની આસપાસના ગામડાઓમાં જ છુપાઇને રહ્યો અને પ્રતાપની હત્યાનો સતત પ્લાન કરતો રહ્યો. મહેન્દ્રસિંહના માણસોએ પ્રતાપની રેકી કરી માહિતી આપી કે, પ્રતાપ રોજ સવારે પોતાની ગાડીમાં છાપું લેવા આવે છે અને શાકમાર્કેટની પાછળની ગલીમાં ગાડીમાં બેસીને છાપું વાંચે છે. એક સવારે મહેન્દ્રસિંહ તે ગલીમાં પહોંચી ગયો અને ગાડીમાં જ પ્રતાપને ગોળી ધરબી દીધી. આ સમયે નડિયાદના ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર હતા કાળુસિંહ ચૌહાણ.
પ્રતાપની હત્યાના સમાચારે ખેડા જિલ્લામાં હાહાકાર મચાવી દીધો. મહેન્દ્રસિંહ ભાગીને સુરત આવી ગયો. પી.આઈ કાળુસિંહ ચૌહાણ અને તેમની ટીમે થોડા મહિનાઓ બાદ મહેન્દ્રસિંહને સુરતથી પકડી પાડી જેલમાં ધકેલ્યો. કોર્ટ કાર્યવાહી થઇ અને સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, મહેન્દ્રસિંહ અગાઉ એક ટેક્સી ડ્રાઇવર વિનોદની હત્યામાં જામીન પર છે. તેણે જામીન લઇને બે-બે હત્યા કરી છે. માટે તેના જામીન રદ્દ કરવા. કોર્ટે મહેન્દ્રસિંહના અગાઉના જામીન રદ્દ કર્યા અને તેને પરત જુનાગઢ જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો.

આ વાત છે ૧૯૮૬ની. કોર્ટે જ્યારે મહેન્દ્રસિંહને જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો ત્યારે નિયમ પ્રમાણે તેને પોલીસ સ્ટેશનથી જાપ્તા પોલીસના હવાલે કરાયો. મહેન્દ્રસિંહનું એમ.સી.આર. (માસ્ટર ક્રિમિનલ રેકોર્ડ) કાર્ડ બનાવામાં આવ્યું. જેમાં તેની કરમ કુંડળી લખવાની હોવાથી તેને જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી નડિયાદ લઇ જવાયો. આ સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ હતા કે.પી સ્વામી.
કે.પી સ્વામી પણ અનુભવી અને બાહોશ અધિકારી. તેમને જાણ થઇ કે, મહેન્દ્રસિંહ નામના ગુનેગારને તેમની ઓફિસ લવાયો છે ત્યારે તેમણે તેમની ચેમ્બરમાં લઇને આવવા આદેશ કર્યો. ભરબપોરનો સમય હતો. સ્વામી પોતાની ચેમ્બરમાં રિવોલ્વિંગ ચેરમાં સાદા કપડામાં બેઠા હતા. જાપ્તા પોલીસના ત્રણેક કોન્સ્ટેબલ હાથમાં દોરડા બાંધીને સ્વામીની ચેમ્બરમાં પ્રવેશ્યા અને મહેન્દ્રસિંહને તેમની સામે ઊભો રાખી દીધો. મહેન્દ્રસિંહ માથું નીચું ઝુકાવીને ઊભો હતો. સ્વામી લગભગ બે મિનિટ સુધી એકી ટસે તેની સામે જોઇ રહ્યાં. અંતે જાપ્તા પોલીસના જવાનોને માત્ર એટલું જ કહ્યું,, ‘ધ્યાન રાખજો, આ બહાર જશે તો તમે અંદર જશો’. પી.આઈ સ્વામીનું આ વાક્ય સાંભળીને મહેન્દ્રસિંહે માથું થોડુ ઊંચુ કર્યુ અને સ્વામીની સામે જોવા આંખના ડોળા અધ્ધર ચડાવી તેમની સામે જોઇ રહ્યો.

આ પહેલીવાર બન્યું કે, પી.આઈ સ્વામી અને મહેન્દ્રસિંહનો સામનો થયો. ભવિષ્યમાં બન્નેનો સામનો અનેકવાર થવાનો બાકી હતો. મહેન્દ્રસિંહને જુનાગઢ જેલમાં ધકેલી દેવાયો. સાતેક મહિના પછી રાજ્યભરની પોલીસને જુનાગઢ જેલમાંથી મેસેજ અપાયો કે, નડિયાદ જિલ્લાના આરોપી મહેન્દ્રસિંહને ૧૪ દિવસની પેરોલ અપાઇ હતી અને તે પેરોલનો સમય પૂરો થયો છતાં જેલ પર પાછો આવ્યો નથી. આ મેસેજનો સીધો અર્થ હતો કે, મહેન્દ્રસિંહ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો છે. આ મેસેજ કે.પી સ્વામીએ પણ વાંચ્યો અને નિસાસો નાંખ્યો કે આ અપેક્ષિત જ હતુ. બીજી તરફ રાજ્યભરની પોલીસને આ સંદેશો મળ્યો હતો તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ આ મેસેજ અપાયો હતો. પહેલીવાર મહેન્દ્રસિંહને પકડનારા જોગાજી પરમારે આ મેસેજ ‌વાંચ્યો અને તાત્કાલીક પોતાના બાતમીદારોને સક્રિય કર્યા. બે દિવસમાં એક બાતમીદારે માહિતી આપી કે, મહેન્દ્રસિંહની તો ભાળ નથી મળી પણ તેની પ્રેમિકા કિરણ ઓઢવ ગીતા-ગૌરી સિનેમાં પાછળની વસાહતમાં એકલી રહે છે. શક્ય છે કે, મહેન્દ્રસિંહ ત્યાં આવે!. જોગાજી તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે કિરણના ઘરે પહોંચી ગયા અને તપાસ કરી. કિરણ પણ ગુનેગારના પ્રેમમાં ગુનાહિત માનસિકતા ધરાવતી થઇ ગઇ હતી. તેણે પોલીસને ગોળગોળ જવાબ આપી રવાના કરી દીધી. પણ જોગાજીએ એક કોન્સ્ટેબલને તેના ઘર બહાર ગુપ્ત વોચમાં બેસાડી દીધો. નડિયાદમાં પણ જિલ્લા એલ.સી.બી.એ આખા જિલ્લામાં મહેન્દ્રસિંહની વોચ શરૂ કરી હતી. કિરણના માતા-પિતાને પણ પોલીસ મળી હતી. એક સાંજે કે.પી સ્વામી જ્યારે મહેન્દ્રસિંહની બાતમી લેવા તેની પ્રેમિકા કિરણના ઘરે ગયા ત્યારે ખબર પડી કે કિરણ પણ ઘર છોડીને ક્યારની જતી રહી છે. તેના વૃધ્ધ માતા-પિતા સ્વામીના પગે પડી ગયા અને કરગરવા લાગ્યા, ‘સાહેબ અમારી દીકરીને પાછી મનાવી લાવો…એની જિંદગી બરબાદ થઇ જશે..’ સ્વામી એક માતા-પિતાની પગે પડેલી લાચારી જોતા રહ્યાં પણ તે લાચાર હતા.

ઓઢવમાં ગીતા-ગૌરી સિનેમા પાછળની વસાહતમાં રહેતી કિરણના ઘર બહાર વોચમાં ગોઠવેલા કોન્સ્ટેબલે જોગાજીને બાતમી આપી કે, મહેન્દ્રસિંહ આવી ગયો છે..! પી.એસ.આઈ પરમાર ટીમ સાથે તૈયાર થયા અને સાંજે તેને પકડી લેવાનું ઓપરેશન ગોઠવાયું. પોલીસ ખાનગી કપડામાં કિરણના ઘરની આસપાસ ગોઠવાઇ ગઇ. કેટલાક પોલીસકર્મીઓ ગીતા-ગૌરી સિનેમા આગળના એક મોટા મેદાનના અંધારામાં ગોઠવાઇ ગયા. સાંજની વોચમાં ઊભેલી પોલીસને રાત્રે ૯ વાગ્યે એક એમ્બેસેડર કારની લાઇટ મેદાનમાંથી આવતા દેખાઇ. તમામ પોલીસકર્મીઓ સતર્ક થઇ ગયા. લાઇટ કિરણના ઘર બાજુ જ આગળ વધી રહી હતી માટે તેમાં મહેન્દ્રસિંહ હોવાની શક્યતાઓ પણ વધતી હતી. પોલીસકર્મીઓ ગંભીર બનીને ગાડી ઉભી રહે તેની રાહ જોઇ રહ્યાં હતા. બન્યું પણ એવું જ, કારમાં મહેન્દ્રસિંહ જ હતો. તે કારનો દરવાજો ખોલીને નીચે ઉતરે તે પહેલા જ પી.એસ.આઈ. જોગાજી તેની બારી પાસે આવી ગયા અને કહ્યું, ‘મહેન્દ્ર આવી જા, બહુ ભાગ્યો’. જોગાજીને આટલું બોલતા જ મહેન્દ્રસિંહના મોઢામાંથી ગંધ આવી ગઇ કે તેણે દારૂ પીધેલો છે. જોગાજીએ બહારથી એમ્બેસેડરનો દરવાજો ખોલ્યો પણ અંદરથી મહેન્દ્રસિંહ ફિલ્મી સ્ટાઇલે દેશી તમંચો લઇને જ ઊતર્યો અને જોગાજીના કપાળ પર તાકીને ઊભો રહી ગયો. જોગાજી પણ એટલા જ જીગરવાળા. તેમણે મહેન્દ્રસિંહના આંખના પલકારામાં જ પોતાની સરકારી રિવોલ્વર કાઢીને તેના કપાળ પર તાકી દીધી. કોઇ ફિલ્મી દ્રશ્ય હોય તેવો જ સીન સર્જાયો. બન્ને એક બીજાની એટલા નજીક હતા કે બન્નેની બંદૂકના નાળચા એક બીજાના કપાળે અડતા હતા. બન્નેમાંથી કોઇ પણ ગમે તે ઘડીએ ટ્રીગર દબાવી દે તેવી શક્યતા હતી. લગભગ દસેક સેકન્ડ બન્ને એક બીજા સામે બંદૂક તાણીને ઉભા રહ્યા, મામલો ગંભીર બની ગયો હતો. આ દ્રશ્ય જોનારી પોલીસ પણ સ્તબ્ધ બની ગઇ. ઓચિંતા જ જોગાજીએ મહેન્દ્રસિંહને લાત મારી પાડી દીધો. બન્ને હવે બથ્થમબથ્થી પર આવી ગયા. આસપાસમાં ઊભેલી પોલીસ પણ દોડી આવી અને મહેન્દ્રસિંહ પર તૂટી પડી. જમીન પર પડેલા મહેન્દ્રસિંહ પર પોલીસ જાણે ઢગલો થઇ ગઇ અને અંતે તેને હથિયાર સાથે પકડી લીધો.
મહેન્દ્રસિંહ પેરોલ જમ્પમાં પકડાયો અને ફરીથી જેલમાં ધકેલી દેવાયો. આ સમય દરમિયાન તેના પર કેસ ચાલ્યો અને સજા થઇ. થોડા સમય પછી હાઇકોર્ટમાંથી ફરી તેણે પરોલ મેળવી લીધા અને ફરી એકવાર તે પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો.

પોલીસને દિવસો સુધી મહેન્દ્રસિંહની ભાળ ન મળી. બીજી તરફ મહેન્દ્રસિંહ રાઠોડ પેરોલ પર છુટીને અમદાવાદ જ આવ્યો હતો પણ પોલીસથી બચતો રહ્યો હતો. મહેન્દ્રસિંહ અમદાવાદ આવીને તે સમયની ખુંખાર ‘ભૈયા’ ગેંગમાં જોડાઇ ગયો હતો. આ ગેંગના સરદાર ‘ભૈયા’ ઉપરાંત ગેંગના સભ્ય જીતુ કાણીયા અને મહેન્દ્રસિંહે મળીને નવરગંપુરાના વેપારી કમલેશભાઇનું અપહરણ કર્યું. આ અપહરણ દસ લાખની ખંડણી વસૂલવા કરાયું હતુ. આ ગેંગનો દબદબો તે સમયે એટલો હતો કે નામ સાંભળતા જ વેપારીઓ રૂપિયા પહોંચાડી દેતા. ગેંગ સફળ રહી અને દસ લાખની ખંડણી મળી જતા ભૈયાની ગેંગે કમલેશભાઇને મુક્ત કરી દીધા. જો કે, આ વાત મહેન્દ્રસિંહને ખટકી ગઇ. તેણે ગેંગમાં બળવો કર્યો. તેણે પોતાની ક્રુર ગુનાહિત માનસિકતાનો જાણે ચિતાર આપતો હોય તેમ ગેંગના સરદાર ભૈયાને કહ્યું,‘કમલેશ આપણને ઓળખે છે. ભલે રૂપિયા આવી ગયા હોય પણ તેને જીવતો ના છોડાય. તે ભવિષ્યમાં આપણી સામે સાક્ષી બનશે’. જો કે, ભૈયાની નીતિ અલગ હતી. તેણે કહ્યું, ‘ભલે ખોટું કામ કરીએ પણ તેમાં નીતિ રાખવી. આપણે વચન આપ્યું હતુ કે, રૂપિયા મળશે તો તેને છોડી દઇશું. રૂપિયા મળ્યા એટલે છોડ્યો છે. એકવાર વચન આપ્યા પછી નહીં ફરવાનું’.

ભૈયા અને મહેન્દ્રસિંહ વચ્ચે આ મુદ્દે ભારે શાબ્દિક ટપાટપી થઇ અને બન્ને છુટા પડી ગયા. ભૈયાની ગેંગ પ્રોફેશનલ હતી. તો મહેન્દ્રસિંહ એકલો જ ગુના આચરતો. મહેન્દ્રસિંહને ભૈયાની વાત ખટકી ગઇ હતી અને બદલો લેવાનું નક્કી કર્યુ હતુ. એક દિવસ ઓચિંતા ભૈયાનો ખાસ માણસ જીતુ કાણીયો ગુમ થઇ ગયો. લગભગ છ મહિને ખબર પડી કે, તેની લાશ મળી હતી અને તેને કોઇએ ચપ્પાના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. આ હત્યા મહેન્દ્રસિંહે જ કરી હતી કે કેમ? તે આજે પણ પોલીસને ખબર નથી. આ સમયના પોલીસ અધિકારીઓ કહે  છે કે, જીતુની હત્યા મહેન્દ્રસિંહે જ કરી હતી પણ તેના વિરુધ્ધ પુરાવા નહીં હોવાથી પોલીસ ચોપડે તેનું નામ નથી આવ્યું.

આ ખુંખાર ગુનેગાર ભૈયા સાથે તકરાર કરીને દરિયાપુર વિસ્તારમાં એક બાવાને મળ્યો હતો. આ બાવો પણ માથાભારે. તેણે લતીફને મારી નાંખવાની નેમ લીધી હતી. બાવો અને મહેન્દ્રસિંહ બન્ને એક બીજાનો ઉપયોગ કરીને ગુનાની દૂનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગતા હતા. જો કે, આ વખતે મહેન્દ્રસિંહ કરતા બાવાનું પલ્લુ વધારે ભારે હતુ. બાવાએ મહેન્દ્રસિંહને મનાવી લીધો કે, જો તે લતીફની હત્યા કરે તો તેને રૂપિયા આપશે.

મહેન્દ્રસિંહે લતીફની હત્યાની સોપારી તો લીધી હતી પણ આ એ સમય હતો કે, જ્યારે લતીફનો અમદાવાદમાં દબદબો હતો. તે જેલમાં બેઠાબેઠા જ અનેક સીટ પરથી કોર્પોરેશનની ચૂંટણી જીત્યો હતો. એટલે કે, નસીબ અને પબ્લિક બન્ને તેની સાથે હતા. આવા સંજોગોમાં મહેન્દ્રસિંહે તેની સામે ટક્કર લીધી હતી. તે સમયના અધિકારીઓ કહે છે કે, લતીફને જ્યારે જાણ થઇ કે મહેન્દ્રસિંહે તેની સોપારી લીધી છે ત્યારે તે પણ સતર્ક થઇ ગયો હતો. તેને શંકા હતી કે, મહેન્દ્રસિંહ ગમે ત્યારે ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. બીજી તરફ મહેન્દ્રસિંહે લતીફની હત્યા માટે એક વિદેશી ગન પણ વસાવી લીધી હતી. લતીફનું ગુપ્તચર નેટવર્ક મજબૂત હતુ. તેને મહેન્દ્રસિંહની તમામ વિગતો મળી જતી હતી. લતીફે પણ મહેન્દ્રસિંહને બરોબર જવાબ આપવા અને પોતાની પર હુમલો થાય તે પહેલાં આ દુશ્મનનો નાશ કરવાનું નક્કી કરી નાંખ્યું હતુ. પણ મહેન્દ્રસિંહ ન હણાય ત્યાં સુધી લતીફે બચવાનું હતુ. માટે લતીફ જ્યારે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ત્રણેક ગાડીઓના કાફલામાં નીકળતો. કઇ ગાડીમાં ક્યાં બેસવું તે લતીફ છેલ્લી ઘડીએ નક્કી કરતો. નિવૃત્ત અધિકારીઓ કહે છે કે, લતીફ જે પણ ગાડીમાં બેસે તેમાં પાછળની સીટમાં વચ્ચે જ બેસતો, આજુ-બાજુ પોતાની ગેંગના એક એક સાગરીતને રાખતો હતો. આમ લતીફના મનમાં પણ મહેન્દ્રસિંહનો ખોફ હતો. મહેન્દ્રસિંહે પોતાનો ખોફ ફેલાવવા આ સમયે શરિફ ખાન અને ફઝલુ રહેમાનને પણ વગર કારણે મારી નાંખવાની ફિરાકમાં ફરતો હતો. આ વાત તેણે એવા લોકોને કરી રાખી હતી જે તેની માહિતી લીક કરીને સામેની ગેંગમાં પહોંચાડી દે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે, મહેન્દ્રસિંહે લતીફના તે સમયના વિરોધી હંસરાજ સાથે પણ હાથ મિલાવ્યો હતો.

મહેન્દ્રસિંહે લતીફની હત્યા માટે ત્રણવાર પ્રયાસ પણ કર્યા હતા જો કે એકેયમાં તે સફળ નહોતો રહ્યો. લતીફ સાથેની દુશ્મનાવટ હવે સરાજાહેર થઇ ગઇ હતી. મહેન્દ્રસિંહને ખબર હતી કે, પોલીસ તેને શોધી રહી છે તેથી તેણે લતીફની હત્યાનું ઓપરેશન પડતુ મૂક્યું, પણ આ પહેલાં એક સરદારજી સહિત તેના બે સાગરીતોની તો હત્યા કરી જ નાંખી હતી.

અમદાવાદ છોડીને મહેન્દ્રસિંહ સુરત ભાગ્યો. ત્યાં જઇ તેણે લખલૂટ રૂપિયા કમાયા. માત્ર સુરત જ નહીં પછી તો તેણે મુંબઇ અને બેંગ્લોર સુધી ગુનાને અંજામ આપ્યો અને મુંઇમાં સપનુ સાકાર કરવા ઘર બનાવ્યું…

(ક્રમશ:)
#CrimeKahani #Gujarat #Ahmedabad #GujaratPolice #Don #Latif #Hanshraj #MahendrasinhRathod #Rajasthan  #MihirBhatt #SuratPolice #Encounter

Friday, April 24, 2020

ગુજરાતના એક એવા ડોનની કહાની, જેણે ૨૯ વર્ષની ઉમરમાં જ ૧૦૦થી વધુ લોકોની હત્યા કરી હતી..!

MIHIR BHATT
followme on Twitter @MihirBhatt99
ભાગ- ૧
દીકરાના વિયોગમાં રઘવાઇ ગયેલા વૃધ્ધ દંપતીએ અંતે તાંત્રિકનો સહારો લીધો. જ્યાં પોલીસ નિષ્ફળ નિવડી રહી છે ત્યાં તંત્ર-મંત્ર અને દૈવીશક્તિ સાથ આપશે તેવી આશા જિંદગીના છેલ્લા દિવસો ગણી રહેલા વૃધ્ધ દંપતીને હતી. કારણ કે, એક અઠવાડિયાથી જુવાનજોધ દીકરો ઘરે નહોતો આવ્યો, તેની પત્નીની રડમસ આંખો વારંવાર ઘરના ડેલે ડોકિયું કરતી હતી. સાસુ-સસરાની તાંત્રિકની મદદ લેવાની સલાહને પુત્રવધૂએ પણ એટલી જ ઉતાવળથી હા પાડી દીધી, જાણે કોઇ ડૂબતો માણસ તરણું પકડતો હોય. ઉત્તર ગુજરાતના સાબરમતી નદીના કાંઠે આવેલા એક નાનકડા ગામની આ વાત છે. સાંજ ઢળવા લાગી હતી, ખેતમજૂરીએથી ગ્રામવાસીઓ પોતાના માલઢોર સાથે ઘરે પાછા આવવા લાગ્યા હતા. સૂર્યનારાયણ પણ અસ્ત થવાની તૈયારીમાં હતા. ત્યાં સાઇકલ પર સફેદ લેંઘો અને સફેદ ઝભ્ભામાં, વધારેલા દાઢી-વાળ અને કપાળ પર લાંબા એવા કંકુના ચાંદલા સાથે આવેલા તાંત્રિકે ડેલી ખખડાવી.
દીકરો ગુમ થતા બચેલા ત્રણ સભ્યોના પરિવારનું ગામડાનું ઘર મોટું હતુ. ચારેક ઓરડા અને લગભગ અડધા વિઘાનું ફળિયું. વૃધ્ધે તાંત્રિક માટે ફળિયામાં ખાટલો પાથર્યો અને તાંત્રિકને બેસાડ્યો. ધીમેધીમે અંધારુ વધી રહ્યું હતુ. ઘરની ઓસરીમાં એક પીળા બલ્બના અજવાળાના સહારે વૃધ્ધ અને તાંત્રિક ખાટલા પર બેસીને વાતો કરતા હતા. તાંત્રિક શું કહે છે તે જાણવા વૃધ્ધ માતા પણ પતિની નજીક ખાટલા પાસે નીચે બેઠી. એટલામાં જુવાનજોધ પુત્રવધૂ ઘરમાંથી તાંત્રિક માટે લોટામાં ચા ભરી લાવી. તેણે તાંત્રિક અને તેના સાસુ-સસરા પાસે ચાની રકાબી ભરી. તાંત્રિકની નજર પુત્રવધૂ પર પડી. અત્યંત સ્વરૂપવાન અને જુવાનજોધ સ્ત્રીને જોઇ તાંત્રિક બે ઘડી તો જાણે તંદ્રામાં સરી પડ્યો. તેના મનમાં વાસનાના વમળોએ વાવાઝોડું સર્જી દીધુ હતુ. એક લાચાર પરિવારને તાંત્રિક પાસેથી પોતાના દીકરાની ભાળ મેળવવી હતી. જ્યારે તાંત્રિકની નજર તો ઘરની સ્વરૂપવાન સ્ત્રી પર પડી હતી. પરિણીતાની લાચારીમાં તાંત્રિકને જાણે ગેરલાભ લેવાનો રસ્તો દેખાઇ રહ્યો હતો.
તાંત્રિકે ચાના સબડકા બોલાવતા વૃદ્ધને કહ્યું, તમે પતિ-પત્ની અંદર જાવ, જેનો પતિ ગયો છે તે તમારી વહુને જ વિધિમાં બેસાડીશું તો સવાર સુધીમાં તમારો દીકરો આવી જશે! વૃધ્ધ દંપતીને આ વાત હાશકારો આપનારી હતી. બન્ને રકાબી જમીન પર મુકીને ઊભા થઇ ગયા અને સાસુએ બૂમ પાડી.સોનલ.ત્યાં તો સોનલ પણ માથે ઓઢેલો સાડીનો છેડો સરખો કરતા બહાર આવી. કહ્યું, હા બા, સાસુએ કહ્યું આ મહારાજ તને બેસાડીને વિધિ કરશે, એ શું કહે છે એ સાંભળી લે. તેમ કહીને સાસુ-સસરા બન્ને ત્રણેક પગથિયાં ચડીને ઘરના ઓરડામાં ગયા.
‘હા મહારાજ’ કહેતા સોનલ પણ ખાટલા નજીક જમીન પર બેસી ગઇ. તાંત્રિક હવે તેના અસ્સલ રંગમાં આવી ગયો હતો. તેણે સોનલને કહ્યું, તારા પતિને સવાર સુધીમાં પાછો લાવી આપીશ. મારી વિધિ ક્યારેય ફોક નથી જતી. હા, વિધિમાં જો કોઇ ભૂલ થઇ તો તારા પતિ સાથે કોઇ અનિષ્ટ પણ થઇ શકે છે. સોનલના મનમાં ગભરાટ ફેલાયો અને તેના મોઢા પરનો આ ડર તાંત્રિકને દેખાવા લાગ્યો. આમ તો તાંત્રિકને આ ડર જોઇતો જ હતો, જેથી સોનલ તેના તાબે થઇ જાય. તાંત્રિકે શરૂઆતમાં તો વિધિની વાત કરી અને વિધિ માટે શું લાવવું તે બધુ કહેવા લાગ્યો. સોનલ તેની તમામ વાતોમાં હા પુરાવા લાગી. તાંત્રિકને લાગ્યું કે, હવે સોનલ તાબે થઇ ગઇ છે ત્યારે તેણે કહ્યું, આ વિધિ એક બંધ રૂમમાં કરવી પડશે અને ત્યાં તારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇને બેસવું પડશે. આ સાંભળીને સોનલના હોંશ ઊડી ગયા, માથે જાણે આભ તૂટી પડ્યું, તે અવાચક બની ગઇ. તેના ડોળા જાણે તાંત્રિક સામે ફાટી ગયા હોય તેમ એકીટસે તેને જોવા લાગી. તાંત્રિકે ભેદી સ્મિત આપતા કહ્યું, વિધિ છે, કોઇ ચૂક થઇ તો તારો પતિ સવાર નહીં જૂએસોનલને હજુ તો તાંત્રિકની વાતથી કળ નહોતી વળી ત્યાં તો તાંત્રિકે ફરી કહ્યું, રાતની વિધિ પત્યા પછી તારે મારી સાથે સવારે ૪ વાગ્યે નદીએ નાહવા આવવું પડશે!
સોનલ ત્યાંથી સફાળી ઊભી થઇ અને કાંઇ જ બોલ્યા વગર ઉતાવળે પગે ઘરમાં દોડી ગઇ. તેણે પોતાની સાસુ્ને એક રૂમમાં બોલાવી કહ્યું, આ તાંત્રિકની માગ યોગ્ય નથીહું તેની સામે નિર્વસ્ત્ર ના બેસી શકું. સાસુ પણ તાંત્રિકના ઇરાદા જાણી ગઇ, પણ તે એક માં હતી. પુત્રની લાલચ તેને આવેશમાં આવીને તાંત્રિકને ઘરની બહાર કાઢી મૂકતા રોકી રહી હતી. સોનલની સાસુએ તેની આખી વાત જાણી, પણ પુત્રને મેળવવાની લાલચમાં તે સોનલને તાંત્રિકના કહેવા પ્રમાણે કરવા સમજાવવા લાગી. રાતના ૮.૩૦ વાગી ગયા હતા. સોનલ ચોધાર આંસુએ રડતા તેની સાસુ સામે સતત કાકલૂદી કરી રહી હતી. તો સામે સાસુ પણ રડી રડીને તેને કમને પણ તાંત્રિક કહે છે તેમ કરવા સમજાવી રહી હતી.
નાનકડાં ગામના ખુશખુશાલ આ પરિવાર પર જાણે કુદરત રૂઠી હતી. તાંત્રિક પણ કાળ બનીને ફળિયામાં બેઠો હતો. એકાદ વર્ષ પહેલા જ પરણીને સાસરે આવેલી સોનલ પર બેવડી આફત આવી હતી, પતિને મેળવવા કોઇ પરપુરૂષ સામે નિર્વસ્ત્ર કેમ થવું? અને હવે તેની સાસુ પણ તેને તાંત્રિકની સલાહ મુજબ કરવા સમજાવી રહી હતી! અંતે સોનલનું હૈયુ ભરાઇ આવ્યું તેણે તેની સાસુને કહ્યું, જાવ એકવાર બાપુજી સાથે વાત કરો. તેમ કહી તેની સાસુને બાજુના રૂમમાં મોકલ્યાં. આ દરમિયાન સોનલે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને શરીર પર ઘાસલેટ છાંટીને દિવાસળી ચાંપી દીધી. સોનલની મરણચીસો ગામડાના સન્નાટામાં આસપાસના ઘરોમાં પણ સંભળાઇ અને લોકો દોડી આવે તે પહેલા તાંત્રિક ઘરમાંથી ફરાર થઇ ગયો.
હકીકતમાં સોનલના પતિની તો એક સપ્તાહ પહેલાં જ હત્યા થઇ ગઇ હતી. પણ વૃધ્ધ દંપતી અને સોનલ આ વાતથી અજાણ હતા માટે મા-બાપ દીકરા માટે અને સોનલ પતિને પાછા મેળવવા વલખાં મારી રહ્યાં હતા. આમ તાંત્રિકના ચુંગાલમાં ફસાઇ એક પરિવાર વેરવિખેર થઇ ગયો. આ ઘરમાં હવે માત્ર એક વૃધ્ધ દંપતી જ રહ્યું.
પણ કહેવાય છે કે, સમય આવે કર્મોનો હિસાબ કુદરત લઇ જ લે છે..! ગામડામાં રહેતા આ પરિવારની આવી હાલત માટે જવાબદારનો હિસાબ પણ કુદરતે બરાબર લીધો. આ ઘટનાના બરાબર દસ વર્ષ પછી ગામડાના આ ઘરથી ૬૦૦ કિમી દૂર મુંબઇમાં આ પરિવારને બેહાલ કરનારો શખ્સ પોતાની એકની એક દીકરીનો જન્મદિવસ ઉજવવાની તડામાર તૈયારીમાં હતો. બાન્દ્રા રોડની એક બેકરીમાં કેક લેવા પહોંચેલા આ શખ્સને પોલીસે જોઇ લીધો અને કેક લઇને જેવો બેકરીની બહાર નીકળ્યો કે તેને ઘેરી લીધો. નામચીન ગુનેગાર પોલીસ પાસે એક કલાકના સમય માટે કરગર્યો. પણ પોલીસે તેની એક પણ વાત ના સાંભળી અને બીજા દિવસે સુરત નજીક કામરેજ હાઇવે પરના એક ઘરમાં તેનું એન્કાઉન્ટર થઇ ગયું. તે છેલ્લી ઘડીએ પોતાની દીકરીનું મોં પણ ન જોઇ શક્યો. ૨૯ વર્ષની વયે પોલીસના હાથે હણાઇ ગયેલા આ ગુનેગારે ગુજરાતનો એકેય એવો ડોન બાકી નહોતો રાખ્યો કે જેને ધમકી ના આપી હોય, અથવા તો તેની હત્યાનો પ્રયાસ કર્યો ન હોય. લતીફ, એસ.કે એટલે કે શરિફ ખાન, ફઝલ અર-રહેમાન ઉર્ફ ફઝલુ રહેમાન સામે તેણે સીધી દુશ્મનાવટ કરી હતી. કહેવાય છે કે, ૨૯ વર્ષની વયે તેનું એન્કાઉન્ટર થયું ત્યારે ગુજરાત પોલીસના ચોપડે તેની સામે ‘સત્તાવાર’ ૨૯ હત્યા હતી. પણ તે સમયના અધિકારીઓ કહે છે કે, આ ડોને હત્યાની સેન્ચ્યુરી મારેલી છે. તેના એન્કાઉન્ટર પહેલાં તેણે મુંબઇમાં જે બંગલો ખરીદ્યો હતો તે પણ કરોડોની કિંમતનો હતો. નોંધનીય છે કે, આ ગુનેગારનું એન્કાઉન્ટર ૧૯૯૧માં જ થઇ ગયું હતુ.
આ ‘ક્રાઇમ કહાની’ છે મૂળ રાજસ્થાનના પાલી નજીક આવેલા આસવણ ગામના વતની શતરામ ભોપારામ ઉર્ફ શેતાનરામ ભોપાલારામ ઉર્ફ મહેન્દ્રસિંહ ભોપાલસિંહ રાઠોડ ઉર્ફ મહેન્દ્ર રાયકાની. બહુનામધારી મહેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનનો રબારી હતો. સમાજના રિતરીવાજ મુજબ નાનપણમાં જ તેને પરણાવી દેવાયો હતો. પરિવાર સમાજના રિતરીવાજને વળગી રહેનારો હતો પણ મહેન્દ્રસિંહને સમાજ કે શરમના કોઇ વાડા નડતા નહોતા. તેણે ૧૭ વર્ષની ઉંમરે પાડોશના ગામમાંથી બૂલેટની ચોરી કરી અને રાજસ્થાન-ગુજરાત બોર્ડરના ગામ બાખાસર પહોંચી ગયો. ત્યાં તે સમયના વગદાર બળવતસિંહ પાસે પહોંચી જઇ બૂલેટ વેચવાની વાત કરી. બળવંતસિંહ મૂળ દરબાર અને રણના ભોમિયા. તેમણે પાકિસ્તાન સાથેના યુધ્ધમાં બે વાર રણમાંથી ભારતીય સૈન્યને બોર્ડર સુધીનો રસ્તો બતાવ્યો હતો. બોર્ડરના ગામથી માંડીને છેક વડપ્રધાન ઓફિસ સુધી બળવંતસિંહનો દબદબો અને તેટલો જ તેમનો માન-મોભો પણ હતો.
બળવંતસિંહે મહેન્દ્રની વાત સાંભળી પગેથી માંડીને છેક મોઢા સુધી જોયો અને કહ્યું, ‘રવાના થઇ જા, બીજીવાર આ બાજુ આવતો પણ નહીં..!’, મહેન્દ્રસિંહના જતા જ બળવંતસિંહે તેના ગામના લોકોને ચેતવતા કહ્યું, ‘આ છોકરો બરોબર નથી લાગતો, તેને ગામથી દૂર રાખજો’. મહેન્દ્રસિંહે ગુનાની દૂનિયામાં બૂલેટ ચોરીથી પગ મૂક્યો હતો. ત્યાર પછી તો તેણે પાલીની આસપાસના અનેક ગામોમાં ચોરી-લૂંટ જેવા નાના મોટા ગુનાને અંજામ આપ્યો હતો. માત્ર ૨૦ વર્ષની ઉંમરે જ તે પાલીમાં કુખ્યાત ગુનેગાર તરીકે પંકાઇ ગયો હતો.
એક દિવસ તે પત્ની અને પરિવારને છોડીને અમદાવાદ ભાગી આવ્યો. છ ફૂટ ઊંચો, ગોરોવાન અને થોડા વધારેલા વાળ. દેખાવ પણ ફિલ્મના એક્ટરથી કમ નહોતો. ઉપરાંત તેણે મુંબઇના ડોન સુલતાન મિરઝાની વાતો પણ સાંભળી હતી, તેથી તેના જેવા જ ડોન બનવા તે પણ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરતો. ૧૯૮૨માં અમદાવાદ આવીને સરસપુર વિસ્તારમાં રોકાયો. ગુનાની દુનિયામાં જ મોટું નામ કરવાના તે રાતદિવસ સપના જોયા કરતો. બમ્બૈયા ડોનની જેમ મોંઘીદાટ ગાડી અને આલીશાન બંગલામાં રહેવાના તેણે સપના પણ સેવી રાખ્યા હતા. નાના-મોટા ઘણા ગુનાને અંજામ આપીને તે અમદાવાદ આવ્યો હતો. આમ પણ ગુનાની દૂનિયા તેના માટે નવી નહોતી. તે સમયે સરસપુર-ગોમતીપુરની હદ વચ્ચે દારૂનો અડ્ડો ચલાવતા મંજૂરઅલી સાથે તેણે ઘરોબો કેળવી લીધો અને તેની સાથે જ કામ કરવાનું શરૂ કરી દીધુ. મહેન્દ્રસિંહને પોલીસનો નામ માત્રનો ડર નહોતો તેથી મંજૂરઅલીએ તેને શહેરના જાણીતા, પણ ખાનગીમાં દારૂ લઇ જતા ગ્રાહકોના ઘરે દારૂ સપ્લાય કરવાનું કામ સોંપ્યું હતુ. યામાહા એક્સ ૧૦૦ની ઘરેરાટી વચ્ચે મહેન્દ્રસિંહ આખા અમદાવાદમાં બેફિકર થઇ ગમે તેને દારૂ પહોંચાડી દેતો. નવો ખેપીયો હતો તેથી પોલીસને પણ હજુ તેના વિશે કોઇ માહિતી નહોતી. પણ, મહેન્દ્રસિંહને દારૂના ધંધામાં જે રૂપિયા મળતા હતા તેનાથી સંતોષ નહોતો. તેને તો કરોડપતિ બનવું હતુ. કોઇ સ્ટેન્ડ પર માત્ર બૂટલેગર બનીને ઠરીઠામ નહોતુ થવું.
આ એ સમય હતો જ્યારે અમદાવાદમાં ડોન લતીફનું નામ પણ મોટું હતુ. મહેન્દ્રસિંહ અને લતીફનો સામનો થવાને હજુ વાર હતી. મહેન્દ્રસિંહે હવે મોટા પાયે દારૂ સપ્લાય કરવાનું નક્કી કરી નાંખ્યું હતુ. આ સમયે ખેડા જિલ્લામાંથી મોટા પાયે અમદાવાદ શહેર અને આસપાસના જિલ્લાઓમાં દારૂ સપ્લાય થતો હતો. તેથી મહેન્દ્ર ૧૯૮૨માં જ અમદાવાદ છોડીને ખેડા જિલ્લાના નડિયાદમાં જતો રહ્યો.
મહેન્દ્રસિંહે જ્યારે પહેલાં દિવસે નડિયાદમાં પગ મૂક્યો ત્યારે ત્યાં તેને કોઇ ઓળખતુ નહોતું. પહેલી રાત ક્યાં કાઢવી તે વિચારમાં તે મોડી સાંજ સુધી ભટકતો રહ્યો. રાતના આઠેક વાગ્યા હતા. એક ઝાડના ઓટલા પાસે આવ્યો ત્યારે ત્યાં પાંચેક ટેક્ષીઓ ઊભી હતી અને તેના ડ્રાઇવરો પણ ત્યાં ઓટલા પર બેસીને ગપાટા મારતા હતા. મહેન્દ્રસિંહ માત્ર સપના જ નહોતો જોતો, તેને સાકાર કરવા તે પ્રયત્ન પણ કરતો, વળી ગુનાને અંજામ આપવા જરૂરી ચાલાકી પણ તેનામાં હતી. મહેન્દ્રસિંહે મનોમન નક્કી કર્યું કે, ‘ડ્રાઇવરો સાથે ઘરોબો કેળવી દારૂના ધંધાની વાત કઢાવીશ. ડ્રાઇવરો બધે ફરતા હોય છે ક્યાંકને ક્યાંક કોઇ રસ્તો મળી જશે’.
મહેન્દ્ર ડ્રાઇવરો જ્યાં વાત કરતા હતા તે ઓટલા પર આવીને બેસી ગયો. થોડીવાર તો તે અજાણ્યો બનીને ડ્રાઇવરની વાત સાંભળતો રહ્યો. ડ્રાઇવરો અલગ અલગ જગ્યાની વર્દીની વાત કરતા હતા. કોઇ રાજસ્થાનનાં ભાડાં માટેની વાત કરતો, તો કોઇ ડ્રાઇવર મધ્યપ્રદેશના રસ્તાઓની વાત કરતો. એક-બે ડ્રાઇવરોએ બીડી પણ હાથમાં સળગાવી રાખી હતી. મહેન્દ્રસિંહ પણ વિલ્સ સિગારેટ પીવાનો શોખીન હતો.
તેણે ડ્રાઇવરોની વાત સાંભળતા જ તાત્કાલિક પ્લાન બદલી નાંખ્યો અને નક્કી કર્યું કે, આમાંથી કોઇ ડ્રાઇવરને લઇ જઇને તેની ટેક્ષી લૂંટી લેવામાં આવે તો? મહેન્દ્રસિંહ તાત્કાલિક ઉભો થઇને ડ્રાઇવરોથી દૂર જતો રહ્યો. ઓટલા પર બેસવાથી ગંદા થયેલા સફેદ કપડા ખંખેર્યા, હાથેથી વાળ પણ સમારીને ફરીથી એક સજ્જન વ્યક્તિના દેખાવમાં આવી ગયો. ઉતાવળી ચાલે ટેક્ષી ડ્રાઇવરો વાત કરતા હતાં ત્યા આવ્યો અને પુછ્યું, રાજસ્થાનના પાલી જવું છે, આવશો? પાંચેય ડ્રાઈવરોએ એકબીજા સામે જોયું અને નક્કી કર્યું કે, સ્ટેન્ડ પર હવે કોની ટેક્ષીનો વારો છે? અંતે નક્કી થતા વિનોદ નામનો એક યુવાન ટેક્ષીડ્રાઇવર તૈયાર થયો. તેણે કહ્યું, ‘બેસી જાવ’ તેમ કહેતા ગાડીમાંથી એક જુનું કપડું કાઢી ગાડીનો આગળનો કાચ ઝાપટવા લાગ્યો. ડ્રાઇવર વિનોદ હજુ મહેન્દ્રસિંહને એક પેસેન્જર તરીકે જ જોતો હતો તેણે નામ પણ નહોતુ પુછ્યું. ટેક્ષી ચાલુ કરતા પહેલાં તેણે પુછ્યું કે પાછા આવવાનું છે કે, ત્યાં જ ઊતરી જવાનું છે? મહેન્દ્રએ કહ્યું, સવારે પહોંચવાનું છે ત્યાં જઇને નક્કી થશે. રાત્રે બે-ત્રણ કલાક કોઇ હોટલમાં ઊંઘ પણ કરી લઇશું. વિનોદે સાથી ટેક્ષી ડ્રાઇવરોને કહ્યું, ઘરે કહી દેજો, કાલે આવી જઇશ. ટેક્ષી ત્યાંથી ઉપડી અને વાયા કઠલાલ થઇ હિંમતનગર તરફ દોડવા લાગી. એમ્બેસેડર કારમાં પાછળની સીટ પર બેઠેલા મહેન્દ્રસિંહના મનમાં ડ્રાઇવરની હત્યા કરીને ટેક્ષીની લૂંટ કરવાનો સતત પ્લાન ચાલતો હતો. તેણે ટેક્ષીમાં જ કેવી રીતે હત્યા કરવી તેનું મનોમન રિહર્સલ પણ કર્યુ હતુ. મહેન્દ્રસિંહ તેની જિંદગીની પહેલી હત્યા કરવા જઇ રહ્યો હતો પરંતુ જાણે કોઇ રિઢો હત્યારો હોય તેમ તેણે ફુલપ્રુફ પ્લાન મનમાં ઘડી રાખ્યો હતો. હિંમતનગર પહેલા પ્રાંતિજ પાસે હાઇવે પરની એક હોટલ આગળ તેણે કાર ઊભી રખાવી. રાતના ૧૨ વાગવા આવ્યાં હતા. ચા-પાણીના નામે હાઇવે પર એક ખુલ્લી હોટલ પર ડ્રાઇવરથી થોડો અલગ થયો. હોટલના જ એક પાનના ગલ્લા પરથી તેણે નાઇલોનની દોરી ખરીદી લીધી.
થોડીવારમાં મહેન્દ્રસિંહ ફરી ટેક્ષીમાં ગોઠવાયો અને હવે ટેક્ષી હિંમતનગર હાઇવે તરફ દોડવા લાગી. મહેન્દ્રસિંહનો પ્લાન હતો કે હિંમતનગર પસાર થયા પછી ઇડરના રોડ પર ક્યાંક હત્યા કરવી જેથી કરીને જંગલ જેવા વિસ્તારમાં કોઇને લાશ પણ ન મળે. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે સિંગલ પટ્ટીના સ્ટેટ હાઇવે અને રાતે તો ભાગ્યેજ કોઇ વાહન નીકળે. આમ છતાં મહેન્દ્રસિંહ હત્યામાં એક પણ ચૂક રાખવા માગતો નહોતો. તેણે એકાદ વાગ્યે ટેક્ષી હિંમતનગર પહોંચી ત્યારે ફરી હોટલ પર ગાડી ઊભી રાખવા કહ્યું. ડ્રાઇવર વિનોદને શંકા ગઇ કે હજુ કલાક પહેલા જ તો પ્રાંતિજ ઊભા રહ્યાં હતા. તેણે મહેન્દ્રસિંહને કહ્યું, શેઠ હમણા જ તો ચા પાણી કર્યા. હવે ઊભા રહીશું તો પાલી મોડા પહોંચીશું. મહેન્દ્રસિંહે કહ્યું, ‘આવ પહેલા થોડો નાસ્તો કરી લઇએ. આગળ નાસ્તો જોયો પણ સારો લાગ્યો નહીં એટલે નહોતો કર્યો’. આમ કહી તેણે ડ્રાઇવર વિનોદ સાથે એક જ ટેબલ પર બેસીને નાસ્તો પણ કર્યો. હોટલમાં તે બન્ને સિવાય કોઇ હતુ પણ નહીં. મહેન્દ્રસિંહ આ બહાને સમય પસાર કરવા માગતો હતો જેથી બે-ત્રણ વાગ્યે હાઇવે શાંત થઇ જાય, હાઇવે પોલીસ પણ લગભગ પેટ્રોલિંગમાં મળે નહીં. મહેન્દ્રસિંહ આ ચાલમાં સફળ રહ્યો. પોણો કલાક પસાર કરીને તે ફરી એમ્બેસેડરમાં બેઠો પણ આ વખતે તે બરોબર ડ્રાઇવર સીટની પાછળ બેઠો. વિનોદને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની સાથે આગળ શું થવાનું છે?. કાર ઇડર તરફ દોડવા લાગી. હિંમતનગરથી નીકળી આઠેક કિલોમીટર પસાર કર્યા હશે કે, મહેન્દ્રસિંહે નાયલોનની દોરી કાઢી અને ડ્રાઇવર વિનોદના ગળામાં ચાલુ ગાડીએ લપેટી નાંખી. મહેન્દ્રએ કહ્યું, ગાડી સાઇડમાં ઊભી રાખ નહીંતર મારી નાંખીશ. વિનોદ ઓચિંતા હુમલાથી ગભરાઇ ગયો. આમ પણ તેની સીટની પાછળથી મહેન્દ્રસિંહે તેને દબોચ્યો હતો એટલે તે પ્રતિકાર કરી શકે તેમ પણ નહોતો. વિનોદના બન્ને હાથ હવે સ્ટીયરિંગ પર નહીં પરંતુ ગળામાં લપેટાયેલી નાયલોન દોરી પર હતા. તે સતત દોરીને ગળામાંથી કાઢવા ખેંચી રહ્યો હતો. મહેન્દ્રસિંહની ધમકીથી વશ થઇ તેણે ગાડીની બ્રેક બરાબર રસ્તા વચ્ચે જ મારી દીધી. કારની પાછળ ઘોર અંધકાર હતો અને આગળની હેડલાઇટના અજવાળામાં દેખાતો રસ્તો સુમસામ હતો. ગાડી ઊભી રહેતા જ મહેન્દ્રસિંહે દોરીનો વધુ એક આંટો વિનોદના ગળામાં મારી દીધો અને પૂરી તાકાતથી દબાવી દીધો. વિનોદના ગળામાંથી અવાજ પણ ન નીકળ્યો અને ડ્રાઇવિંગ સીટ પર જ તરફડિયા મારતા તે નિશ્ચેતન થઇ ગયો. મહેન્દ્રસિંહ કોઇ આવે તે પહેલા જ ગાડીમાંથી ઊતર્યો અને વિનોદના મૃતદેહને બહાર કાઢી ઢસડીને રોડની સાઇડની ઝાડીઓમાં નાંખી દીધો. કાર હજુ પણ રસ્તામાં જ ઊભી હતી. ડ્રાઇવરનો દરવાજો ખુલ્લો હતો અને હેડ લાઇટના અજવાળામાં તેણે લાશનો નિકાલ કરી દીધો.
મહેન્દ્રસિંહે નાયલોનની દોરી પણ વિનોદના ગળામાંથી કાઢીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી, જેથી કોઇ જ પુરાવો ન રહે. મહેન્દ્રસિંહ લાશને ઝાડીઓમાં નાંખીને દોડીને ગાડીમાં બેઠો અને ગાડી રાજસ્થાન તરફ હંકારી દીધી
ડ્રાઇવરની હત્યા અને એમ્બેસેડર કારની લૂંટ. આવી ઘટનાઓ તે સમયે ભાગ્યેજ બનતી હતી. તેથી માત્ર સાબરકાંઠા કે ખેડા જિલ્લાની પોલીસ જ નહીં પરંતુ રાજ્ય પોલીસ વડા તરફથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં જોડે રહેવા આદેશ અપાયો. આ સમયે રાજ્ય પોલીસ વડાની ઓફિસ મેઘાણીનગર હતી. તે સમયે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રાજ્યમાં ગમે તે જિલ્લા કે શહેરમાં જઇ મોટા ઓપરેશન પાર પાડતા હતા. આ સમયે અમદાવાદમાં રાતે ઘરના તાળાં તોડીને ચોરીઓ પણ બહુ થતી હતી. તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ઘરફોડ સ્કવોડ બનાવાયો હતો અને તેના પી.એસ.આઇ હતા જે.એન પરમાર (જોગાજી પરમાર), એન.પી રાયજાદા અને ભરત આયર.
હાલ આ ત્રણેય અધિકારીઓ નિવૃત્ત થઇ ગયા છે પરંતુ તે સમયે તેમનો પણ અમદાવાદ શહેરમાં દબદબો હતો. મોબાઇલ ફોન જ નહોતા એટલે મોબાઇલ સર્વેલન્સની વાત તો હતી જ નહીં. પણ, તે દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચમાં આ ત્રણેય અધિકારીઓનું બાતમીદારનું નેટવર્ક મજબૂત હતુ. એક રાતે જોગાજી પરમાર પોતાના સ્કવોડ સાથે ફરતા ફરતા સરસપુર પહોંચ્યા ત્યારે દારૂના અડ્ડા પરથી જાણવા મળ્યું કે, તેમને ત્યાં કામ કરતો મહેન્દ્રસિંહ રાઠોડ મોટા પાયે દારૂ સપ્લાય કરવા નડીયાદ ગયો હતો અને હવે તે ત્યાં પણ નથી.
જોગાજીને યાદ આવ્યું કે, મહેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનનો છે. ઇડર-હિંમતનગર હાઇવે વચ્ચે જે હત્યા થઇ હતી તે ડ્રાઇવર વિનોદ નડિયાદનો જ હતો. પાછો તે રસ્તેથી રાજસ્થાન પણ જવાય! આવા સંજોગોથી ઊભી થયેલી એક માત્ર શંકાના આધારે જોગાજીએ પોતાના બાતમીદારોને થોડા રૂપિયા આપી નડિયાદ મોકલ્યા. તપાસ કરવા કહ્યું કે, મહેન્દ્રસિંહ નડિયાદમાં ક્યાં છે. આ એ બાતમીદારો હતા જે અગાઉ મહેન્દ્રસિંહ સાથે સરસપુર દારૂના અડ્ડા પર કામ કરતા હતા. દસેક દિવસ પછી જોગાજીને મળવા એક બાતમીદાર આવ્યો અને કહ્યું કે મહેન્દ્રસિંહ નડિયાદમાં છે. તે કંઇ કામ નથી કરતો છતાં તેની પાસે રૂપિયા ઘણા છે. ચોક્કસ કંઇક કામ કર્યું છે. પોલીસ અને બાતમીદારોની ભાષામાં કંઇક કામ કર્યું છે તેનો મતલબ એમ થાય કે તે કોઇ ગુનાને અંજામ આપી રૂપિયા કમાયો છે.
જોગાજીએ તેનું પાક્કુ લોકેશન લીધુ અને પોતાના વિશ્વાસુ બાતમીદારો સાથે નડિયાદ પહોંચી ગયા. તેણે મહેન્દ્રસિંહને માત્ર શંકાના આધારે પકડીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉઠાવી લાવ્યાં. પોલીસને માત્ર શંકા હતી, પણ મહેન્દ્રસિંહને લાગતુ હતુ કે તે હત્યા કેસમાં પકડાઇ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચમાં તેની રીઢા ગુનેગારોની થાય તેવી જ ખાતેરદારી પણ થઇ. છતાં હજુ મહેન્દ્રસિંહે ગુનો નહોતો કબુલ્યો. પોલીસે ફરી દસ વાગ્યે તેને ફિલ્મોમાં દેખાડે છે તેમ ઊંધો લટકાવીને ઉઘાડા શરીરે ચામડાના પટ્ટાથી પુછવાનું શરૂ કર્યું. મહેન્દ્રસિંહથી માર સહન ન થયો. પોલીસની કલ્પના બહાર તેણે કબૂલાત કરી લીધી કે, હાડ્રાઇવરની હત્યા મેં જ કરી છે. મહેન્દ્રસિંહે કબૂલાતમાં કહ્યું કે, કેવી રીતે તેણે ટેક્ષી ભાડે કરી. ત્યાર બાદ હત્યા માટે રસ્તામાંથી તેણે નાયલોનની દોરી ખરીદી અને ઇડર પહેલાં ડ્રાઇવર સીટની પાછળ બેસીને વિનોદની હત્યા કરી નાંખી. આમ ક્રાઇમ બ્રાન્ચે નડિયાદની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. હવે રાજ્ય પોલીસવડાએ આ તપાસ સત્તાવાર રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. જોગાજી પરમારને આપી દીધી. જોગાજી જગ્યાનું પંચનામુ કરવા અને રિકન્સ્ટ્રક્શન માટે મહેન્દ્રસિંહને પોલીસ જાપ્તામાં સ્થળ પર લઇ જવા નીકળ્યાં. જોગાનુંજોગ કહો કે હાઇવે પર ઓછી હોટલ હોવાથી પોલીસ કાફલો પણ હિંમતનગર પાસેની તે જ હોટલ પર રોકાયો જ્યાં હત્યાની રાતે મહેન્દ્રસિંહ અને ડ્રાઇવર વિનોદે નાસ્તો કર્યો હતો.
મોટી ઉંમરના એક વૃધ્ધ વેઇટર પોલીસ અને મહેન્દ્રસિંહને જોઇ રહ્યાં. પોલીસે ચા-પાણી કર્યા પછી વૃધ્ધ વેઇટરે ગભરાતા- ખચકાતા એક કોન્સ્ટેબલને પુછ્યું, ‘આને કેમ પકડ્યો છે? આ તો થોડા દિવસ પહેલા અહીં રાત્રે એક વ્યક્તિ જોડે નાસ્તો કરવા આવ્યો હતો’. આમ રસ્તામાં અચાનક વેઇટરના રૂપે મહેન્દ્રસિંહ વિરુધ્ધ પહેલો સાક્ષી પોલીસને મળી ગયો. મહેન્દ્રસિંહ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરતો હોવાની ઓળખ અને તે રાત્રે મહેન્દ્રસિંહ અને ડ્રાઇવરને બાદ કરતા હોટલમાં કોઇ ગ્રાહક પણ નહોતુ માટે તે ઓળખાઇ ગયો હતો.
આ તો મહેન્દ્રસિંહે કરેલી પહેલી હત્યા હતી. હજુ તો ગુજરાતના ઘણા ડોનનો વારો આવવાનો બાકી હતો
(ક્રમશ:)
આવી બીજી ક્રાઇમ કહાનીઓ વાંચવા માટે ક્લિક કરો નીચે આપેલી લીંક...

#CrimeKahani #GujaratPolice #Encounter #MahendrasinhRathod #SuratPolice #AhmedabadCrimeBranch #Ahmedabad #MihirBhatt 

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...