Wednesday, November 20, 2019

રંજને કહ્યું, ‘તારામાં હવે કશું રહ્યું નથી’ અને ભવાને એક ઝાટકે ગળું વેતરી નાંખ્યું...

Mihir Bhatt


(ભાગ-૩)

રાજકોટ-મોરબી હાઇવે પર વહેલી સવારે કોથળામાંથી માનવઅંગો મળ્યાં હતા. પોલીસે કચ્છમાં તપાસ કરી પરંતુ સફળતા નહીં મળતા રાજ્યભરમાં લાપતા મહિલા અને બે બાળકોની તપાસ કરાઇ હતી. જો કે, તેમાં પણ પોલીસને સફળતા મળી નહોતી. પી.એસ.આઇ પરમારના કોથળા પર શું લખ્યું છે? તેવા વિચારે જે કોથળામાંથી માનવઅંગો મળ્યાં હતા તે કોથળાની તપાસ કરાઇ. અંતે કોથળા પર ‘જામનગર મેરીટાઇમ બોર્ડ’નું લખાણ મળતા તપાસની સોય જામનગર તરફ વળી હતી. જામનગર પોલીસની તપાસ દરમિયાન એક બાતમીદારે શ્રી નિવાસમાં હત્યાની વાત કરી હતી. આ કડીથી સ્થાનિક પોલીસ ‘શ્રી નિવાસ’ બંગલામાં પહોંચી ગઇ હતી. અને પાડોશીઓની પુછપરછમાં ભવાન સોઢાનું નામ મળી ગયું હતુ. પોલીસ ભવાનને પુછપરછ કરવા ઉઠાવી લાવી હતી. ભવાને પોલીસની પ્રાથમિક તપાસમાં અશોક ઉર્ફ ચપ્પાનું નામ આપ્યું. અને ટ્રીપલ મર્ડર કેસમાં નવો વળાંક આપવાનો પ્રયાસ કર્યો...પણ...

ભવાનની વાત સાંભળી પોલીસ આશ્ચર્યમાં પડી. જો કે, અધિકારીઓ જાણતા હતા કે અશોક ઉર્ફ ચપ્પા ભવાનનો જુનો દુશ્મન છે અને તે ત્રણેક મહિનાથી તો જેલમાં છે. તો પછી તે હત્યા કેવી રીતે કરે? હવે વર્માનો હાથ ભવાનના ગાલ સુધી પહોંચવાની તૈયારીમાં જ હતો. ભવાન જાણી ગયો કે, પોલીસ હવે મારની ભાષામાં જ પૂછશે. વર્માનો હાથ ઉપડે તે પહેલાં તેણે કહ્યું, ‘મારતા નહીં સાહેબ બધુ કહું છું’.
બપોરના બે વાગી ગયા હતા. પોલીસ સ્ટેશનનો માહોલ બપોરની ગરમીને બમણી કરતો હતો. ખરા તાપમાં એક પંખા નીચે પલોઠી વાળીને બેઠેલા ભવાને હવે જે કબૂલાત કરી તેણે પોલીસકર્મીઓને સ્તબ્ધ કરી દીધા. ભવાને કબૂલાત કરી કે, ‘વકિલ કે.પી શુક્લા મારો કેસ લડતા હતા. કેસના ચક્કરમાં તેમના ઘરે આવવા જવાનું થતુ હતુ. ત્યારે રંજન સાથે આંખ મળી ગઇ. એક દિવસ ઓચિંતા કે.પી શુક્લાનું અવસાન થયું અને તેને રંજન સાથે મળવાનો જાણે પરવાનો મળી ગયો. કે.પી શુક્લા પાસે બંગલા ઉપરાંત ખેતી લાયક જમીન પણ હતી. મારી નજર રંજનના આ રૂપિયા અને તેની જવાની પર હતી. જ્યારે રંજન મારા પ્રેમમાં ઓળઘોળ હતી. મેં તેની પાસેથી જરૂર પડે રૂપિયા લેવાનું શરૂ કર્યું. રંજનને તેની ફિકર નહોતી. ભીમ અગિયારસના બે દિવસ પહેલા હું તેની સાથે અગાસી પર સુતો હતો. મારે શરીર સુખ માણવું હતુ, મેં રંજનને કહ્યું તો તેણે કહ્યું, તારામાં હવે કશું રહ્યું નથી. મને ગુસ્સો આવી ગયો. અશોક ચપ્પા સાથેની દુશ્મનાવટ હોય કાયમ સાથે તલવાર કે ગુપ્તી રાખતો હતો. તે રાત્રે પણ ગુપ્તી સાથે જ હતી. ગુસ્સામાં ગુપ્તી કાઢતા જ રંજન ગભરાઇ ગઇ અને બૂમો પાડતા અગાસીની સીડી પરથી નીચે ભાગી. હું પણ તેની પાછળ દોડ્યો. રંજનની બૂમો સાંભળીને તેનો દીકરો દેવદત્ત અને અવની સીડીમાં સામે દોડી આવ્યાં. રંજન તો સીડી ઉતરી ગઇ પણ બન્ને બાળકોએ મને પકડી લીધો. અવનીએ મારા પગ પકડ્યાં તો દેવદત્તે ગુપ્તી આંચકવાનો પ્રયાસ કર્યો. મારો ગુસ્સો એટલો હતો કે મેં ગુપ્તી અવનીની પીઠમાંથી સોંસરવી કાઢી દીધી. અવનીની પકડ ઢીલી પડી અને મારા પગ છોડી તે ઢળી પડી. રાતનો સમય હતો અને બંગલાની લાઇટો પણ બંધ હતી. અંધારામાં દેવદત્ત હજુ મને પકડવા પોતાનું બધુ જ જોર લગાવી રહ્યો માટે એ જ ગુપ્તીથી મેં તરત દેવદત્તનું ગળુ કાપી નાંખ્યું અને રૂમમાં દોડી ગયેલી રંજન પાછળ દોડ્યો. રૂમમાં લાલ રંગની એક ડીમ લાઇટના આછા અજવાળામાં રંજનને પકડીને પછી તેનું ગળુ પણ એક જ ઝટકે કાપી નાંખ્યું…!’

ભવાનની આ કબૂલાત પોલીસ માટે પણ કોઇ ફિલ્મીથી ઓછી નહોતી. વર્માં બેચેન થઇ ઉઠ્યા, વર્મા વિચારવા લાગ્યા કે આ કેવો રાક્ષસ છે કે તેણે બાળકોને મારતા પણ વિચાર ન કર્યો. પણ પોતે વર્દીમાં હતા. તે ભાવુક થઇને કોઇ કામ કરવા નહોતા માંગતા. તેમણે કોન્સ્ટેબલને ઇશારો કરી પોતાની માટે પાણીનો ગ્લાસ મંગાવ્યો. હકીકતમાં વર્મા ભવાનની કબૂલાતથી થયેલી બેચેની દુર કરવા બે ઘડીનો સમય લેવા માંગતા હતા.
ભવાન જમીન પર બેઠાબેઠા વર્મા સામે જોઇ રહ્યો હતો. તેણે કહ્યું, સાહેબ મને પણ પીવડાવોને. વર્માએ એક કોન્સ્ટેબલની સામે જોયુ ત્યાં જ કોન્સ્ટેબલ લોટામાં પાણી ભરી લાવ્યો અને ભવાનને આપ્યો.
વર્માએ હવે આગળ પૂછપરછ શરૂ કરી. પુછ્યું ‘હત્યા કર્યા પછી શું કર્યું?’
ભવાને લોટો નીચે મુકતા ફરી બોલવાનું શરૂ કર્યું. ‘હત્યા કર્યા પછી આખી રાત બંગલામાં જ રહ્યો અને લાશોના નિકાલની યોજના ઘડતો રહ્યો. બીજા દિવસે દીકરા પાસે એસીડ મંગાવ્યું. બંગલામાં પડેલી કરવત વડે લાશના ટુકડા કર્યા અને પાણીની ટાંકીમાં નાંખી અંદર એસીડ નાંખ્યું. દેવદત્ત અને અવનીના કાપેલા માથા ફ્રીજમાં મુક્યા જેથી ગંધ ના ફેલાય. આમ છતાં કેટલાક અંગો બાકી હતા. ત્રીજા દિવસે મેરીટાઇમ બોર્ડમાં નોકરી કરતા ભત્રીજા પાસે કોથળા મંગાવ્યાં અને એક પરિચિત પાસે કચ્છ દર્શન કરવાના બહાને ગાડી માંગી.

ભીમ અગીયારસનો દિવસ હતો. સૌરાષ્ટ્રભરમાં તહેવાર જેવો માહોલ હતો. પોતે કોથળામાં કપાયેલા માનવ અંગો ભરીને કચ્છ તરફ રવાના થયો. માળીયા ઓળંગતી વેળા આગળ પોલીસ ચેકીંગ જોયું. એટલે ગાડી પાછી વાળી અને પુલ ક્રોસ કરીને કોથળા ઝાડીઓમાં ફેંકી દીધા. તે પાછો આવી રહ્યો હતો ત્યારે જોડીયા પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ રસ્તામાં મળ્યો. તેણે ભવાન પાસે લીફ્ટ માંગી. ભવાને તેને બેસાડ્યો ત્યારે કોન્સ્ટેબલે કહ્યું, ગાડીમાં આવી ગંદી વાસ કેમ આવે છે...? ભવાને એક હાથે સ્ટેરીંગ પકડ્યું અને બીજા હાથે કારના ડ્રોવરમાં પહેલેથી ખરીદી રાખેલુ સ્પ્રે કાઢી કારમાં પાછળની સીટ તરફ છાંટતા કહ્યું, ગાડીમાં મચ્છી લાવ્યાં હતા. એની વાસ હજુ જતી નથી. કોન્સ્ટેબલ રસ્તામાં ઉતરી ગયો અને ભવાન પણ પોતાના ઘરે જતો રહ્યો’.

પોલીસ પાસે હવે હત્યા કાંડ અને પુરાવાના નાશની તમામ વિગતો હતી. પણ બાતમીદારને મળેલા વ્યંઢળને શ્રી નિવાસ બંગલામાં હત્યા થઇ તે કેવી રીતે ખબર પડી તે વાત હજુ વિષ્ણુદાન ગઢવીને ખુંચી રહી હતી. પુછપરછ કરી નિવેદન લખતા રાત પડી ગઇ. તે રાતે જ ભવાન અને એસીડ લાવવામાં મદદ કરનારા તેના દીકરા પંકજની ધરપકડ કરી લેવાઇ હતી. વિષ્ણુદાન પોતાનું પોલીસ સ્ટેશન ન હોવા છતાં ત્યાં હાજર રહ્યાં અને ભવાનને પુછ્યું કે વ્યંઢળને તું ત્યાં કેમ લઇ ગયો હતો? ભવાને કહ્યું કે, તે પોતે પણ નશાનો બંધાણી છે. હત્યાના વીસેક દિવસ પછી તે શ્રી નિવાસ બંગલામાં નશો કરવા જતો હતો ત્યારે રસ્તામાં તેને ઓળખીતો વ્યંઢળ મળ્યો. તેને પણ નશો કરવો હતો. વ્યંઢળે રસ્તામાં મને જોઇ પુછ્યું ‘માલ પડ્યો છે?’. મને નશો કર્યા પછી વાસના સંતોષવી હતી. માટે વ્યંઢળને સાથે લીધો. તેને પણ શ્રી નિવાસમાં લઇ ગયો અને નશો કરાવ્યો. નશો કર્યા પછી વ્યંઢળે શરીરભૂખ સંતોષી આપવાની ના પાડી. તો તેને ઉપરના રૂમમાં લઇ જઇ ફ્રીજમાં બાળકોના માથા દેખાડી ધમકી આપતા કહ્યું, ‘તારા પણ આવા જ હાલ થશે…!’

પી.એસ.આઈ ગઢવી સમજી ગયા વ્યંઢળે શ્રી નિવાસની ઘટના જોઇને જ બાતમીદારને માહિતી આપી હતી. આ કેસ કોર્ટમાં ચાલી ગયો અને કોર્ટે ભવાન સોઢાને ફાંસીની સજા તથા તેના દીકરા પંકજને સાત વર્ષની સજા આપી. ભવાન સોઢાને ફાંસી થાય તે પહેલા તે કેન્સરનો શિકાર બન્યો. કુદરતે પણ જાણે ન્યાય કરી નાંખ્યો. ભવાને કોર્ટમાં દયાની અરજી કરી તો કોર્ટે ફાંસીની સજા રદ્દ કરી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવા હુકમ કર્યો. આજે પણ ભવાન ભીખુભાઇ સોઢા જેલમાં કેન્સરની બિમારીથી પીડાઇ રહ્યો છે અને છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે.


https://tv9gujarati.in/crime-story-of-jamnagar-bhavan-sodha-triple-murder-case-tara-ma-kashu-rahyu-nathi-aem-khine-rajannu-glu-vetri-nakhyu/



ક્રાઇમ કહાનીનાં આગળના ભાગ વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો....

ભાગ- ૧ વાંચવા માટે અહીં ક્લિક કરો
https://mihirbhatt99.blogspot.com/2019/11/200.html

ભાગ-૨ વાંચવા માટે અહીં ક્લિક કરો
https://mihirbhatt99.blogspot.com/2019/11/blog-post.html




#mihirbhatt #CrimeKahani #IPSAjaytomar #IPSSatishVarma #Gujarat #GujaratPolice #CrimeStory
#BhavanSodha #BestDetection




1 comment:

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...